Site icon Revoi.in

વડોદરાની એમએસ યુનિનું ફર્નિચર ખરીદી કૌભાંડ, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

Social Share

વડોદરાઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં  ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ  પણ હરકતમાં આવ્યું હતું. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યુ છે..

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો. પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જેને ધ્યાને લઇને આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચીને તપાસ કરી હતી. તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીને મળ્યા હતા અને તેમની ફરિયાદને સાંભળી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના એડમીન વિભાગમાંથી નિવેદનનો પણ નોંધ્યા હતા. જેનો અહેવાલ તૈયાર કરીને ડોક્ટર સ્મિતા છાબ શિક્ષણ વિભાગને સુપરત કરશે.

એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ સત્તાધીશોએ હોસ્ટેલમાં ફર્નિચરના કામ સંદર્ભે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ જાતના નોટિફિકેશન વગર ફર્નિચરનું કામ મળતિયાઓને આપી સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચર્યો છે અને પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ અંગે તપાસ હેતુ મુખ્યમંત્રીને ઉદ્દેશીને શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી.

પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ RTI કરીને ફર્નિચરના કામ અંગેની વિગતો માગી હતી. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા જે નોર્મ્સના આધારે કામ કરવામાં આવ્યુ તેની વિગતો આપવામાં આવી. જો કે પૂર્વ વિદ્યાર્થી નેતાના જણાવ્યા અનુસાર સરકારના જે નોર્મ્સ છે તેના આધારે કામ થયુ નથી. જે અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબને દસ્તાવેજો પણ બતાવ્યા હતા.