નવી દિલ્હીઃ સરકારે મેડિકલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 50 ટકા બેઠકો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું- અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી વસૂલવામાં આવશે. ઘણા દિવસોથી દેશમાં મેડિકલ એજ્યુકેશનની ફી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી. કેટલાક દિવસોથી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે, ફીમાં ઘટાડાનો ઝડપથી નિર્ણય લેવામાં આવશે.
PM મોદી જનઔષધિ દિવસ પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જેનો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને થશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર સ્વાસ્થ્ય માળખાને સતત મજબૂત બનાવી રહી છે. આઝાદીના આટલા દાયકાઓ પછી પણ દેશમાં એક જ એઈમ્સ હતી, પરંતુ આજે દેશમાં 22 એઈમ્સ છે. સરકાર દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવાનું લક્ષ્ય છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જન ઔષધિ કેન્દ્રો શરીરને દવા આપે છે, મનની ચિંતા ઓછી કરવા માટે દવાઓ છે અને એવા કેન્દ્રો પણ છે જે પૈસા બચાવીને લોકોને રાહત આપે છે. દવાનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં આવ્યા બાદ લોકોના મનમાં એવી આશંકા હતી કે, ખબર નથી કે દવા ખરીદવામાં કેટલા રૂપિયા ખર્ચાશે, તે ચિંતા હવે દૂર થઈ ગઈ છે. આજે દેશમાં 8,500 થી વધુ જન ઔષધિ કેન્દ્રો છે. આ વર્ષે જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લગભગ રૂ.5,000 કરોડની બચત મળી છે. આ નાણાકીય વર્ષમાં જન ઔષધિ કેન્દ્રો દ્વારા 800 કરોડ રૂપિયાથી વધુની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 13,000 કરોડ રૂપિયા લોકોએ બચાવ્યા છે.
(Photo-File)