Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં મગફળીનું 12.53 લાખ હેક્ટરમાં વાવેતર, હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો નુકસાનની ભીતિ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભીમ અગિયારસ બાદ અષાઢ મહિનાના આગમન પૂર્વે જ મેઘરાજાની પધરામણી થતાં અને છેલ્લા દોઢ મહિના દરમિયાન સરેરાશ સારોએવો વરસાદ પડ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં વધારો થયો છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 12.53 લાખ હેક્ટરમા મગફળીનું વાવેતર થયું છે.

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાના સમયસરના આગમનને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જોકે, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડતા મગફળીના પાકમાં ધોવાણ થવાની દહેશત સેવાઇ રહી છે. આ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આ બધા વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધુ થાય છે.  ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશને રાજ્ય સરકારને પત્ર લખી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના દર્શાવી છે. એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે કે, ધોવાણ થયેલા વિસ્તારોમાં મગફળીનું ઉત્પાદન ઓછું થઈ શકે છે. મગફળીનું ઉત્પાદન ઘટશે તો તેની સીધી અસર નવી સિઝનમાં સિંગતેલના ભાવ પર પણ પડી શકે છે. આ સ્થિતિને નિવારવા સરકારે જ્યાં પણ વાવેતર નિષ્ફળ ગયું છે, ત્યાં મગફળીનું બિયારણ પહોંચાડવું જોઇએ જેથી ખેડુતો ફરી વાવેતર કરી શકે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં પરંપરાગત રીતે મગફળીનું વાવેતર સૌથી વધુ થાય છે. જુલાઈ મહિના દરમિયાન આ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ બની છે. જેના કારણે મગફળીના પાકમાં ધોવાણ થવાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સૌરાષ્ટ્રમાં 12.53 લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઇ છે. તેમાંથી રાજકોટમાં 2.26 લાખ હેક્ટર, દ્વારકામાં 2 લાખ હેક્ટર, જૂનાગઢ 1.92 લાખ હેક્ટર અને અમરેલીમાં 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.