Site icon Revoi.in

GSRTC : વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરાશે

Social Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૦મી ચિંતન શિબિર – ૨૦૨૩ ના દ્વિતીય દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામનાર ‘ન્યૂ વોક વે વીથ કૅનોપી’ અને ‘ફ્રિસ્કિંગ બૂથ’ નું ખાતમુહૂર્ત કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને તાપ, વરસાદ ઇત્યાદીથી રાહત મળે અને ચાલીને કાપવા પડતા અંતરમાં ઘટાડો થાય તેવા ઉમદા આશયથી વોક વે વીથ કૅનોપીનું નિર્માણ કરવામાં આવનાર છે. આશરે રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર વોક વેથી પ્રવાસીઓને એસ.ઓ.યુ. કેમ્પસના બસ બે (BUS BAY) થી ગેટ નંબર – ૫ સુધી આવવામાં સરળતા રહેશે. આ વોક વે  ૧૨૪.૦૦ મીટર લંબાઈ અને  ૯.૦૦ મીટર પહોળાઈનો હશે.

રાષ્ટ્રની ઓળખ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો થાય અને મુલાકાતીઓને લાંબી કતારમાં ઉભા ન રહેવું પડે તે હેતુથી અલગ અલગ ચાર ફ્રિસ્કિંગ બુથનું નિર્માણ કરાશે. આશરે રૂપિયા ૪૦.૧૧ લાખના ખર્ચે તૈયાર થનાર ફ્રિસ્કિંગ બુથથી પ્રવાસીઓનું ઝડપી અને સરળતાથી નિયમન થઇ શકશે.

મુખ્યમંત્રીએ  સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સફર વધુ રસપ્રદ અને જ્ઞાન વર્ધક બને તે માટે ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ સર્વિસ SOU ના શ્રેષ્ઠ ભારત ભવન અને બસ બે (BUS BAY)  ખાતેથી ઉપલબ્ધ થશે. તાલીમ પ્રાપ્ત ઓથોરાઈઝડ ટુરિસ્ટ ગાઈડ કિફાયતી દરે પ્રવાસીઓની સાથે રહી એકતાનગરના નિર્માણથી તેની વિશેષતાઓ સુધીની માહિતી પ્રદાન કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  GSRTC અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી વચ્ચે ઈ-બસના ચાર્જિંગ સ્ટેશનના એમઓયુ કરાયા હતા. પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા આવનારા દિવસોમાં GSRTC દ્વારા વડોદરાથી એકતાનગર ઈ-બસની સેવા શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે.