Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારથી પ્રારંભ, ગુરૂવારે અંદાજપત્ર રજુ થશે

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા.2જી માર્ચથી પ્રારંભ થી રહ્યો છે. અને તા. 3જી માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે, વિધાન સભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી બજેટમાં નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નથી. વિધાનસભાના સત્રમાં અનેક બીલોને મંજુરી આપવામાં આવશે.વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે.

રાજ્યમાં 121 દિવસના શાસનની ઉજવણી કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ 2022-23 માટેનું બજેટ સત્ર 2જી માર્ચના બુધવારથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. 3જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.  વર્તમાન સરકાર પોતાના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.  ગુજરાતમાં 3 માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ બજેટ રજૂ કરશે. આ વખતના બજેટ સત્રમાં શનિ-રવિવારની 8 રજાઓ ઉપરાંત 18મી માર્ચે હોળીની રજા સહિતના 9 દિવસને બાદ કરતાં બાકી રહેતાં 22 દિવસ માટે આ સત્ર કામ કરશે. જેમાં 5થી 8 જેટલી ડબલ બેઠકો પણ યોજાશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે  રાજ્યપાલનું સંબોધન અને ત્યારબાદ સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 3 માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં 2022-23નું બજેટ રજૂ કરશે. અંદાજ પત્ર પર 4 દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે. જ્યારે રાજ્યપાલના સંબોધન પર 3 દિવસ તેમજ પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા ચાલશે. જોકે આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે આ સત્ર તોફાની બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

અંદાજ પત્રની માંગણીઓ પર ચર્ચા માટે 12 દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયા મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ 31 માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે.