Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો નિર્ણય મુલત્વી રખાયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં અમદાવાદ શહેરમાં નવા વાડજ સહિતના વિસ્તારોમાં ફ્લેટ્સ, રોહાઉસ, ટેનામેન્ટ સહિત અનેક વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધા રહિશોએ ગેરકાયદે બાંધકામો કરેલા છે. ઘણા એપાર્ટમેન્ટમાં તો ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો બનાવી દેવામાં આવી છે. આવા ગેરકાયદે બાંધકામો હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતાં અને ચૂંટણીનું વર્ષ હોવાથી હાલ પુરતો ગેરકાયદે બાંધકામો દુર કરવાનો નિર્ણય મુત્વી રાખવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રહીશોને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેની સામે રહીશોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ગુજરાત સરકારે આ મામલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાન માલિકો કે મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં વાડજ સહિતના વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત ભાજપનો ગઢ ગણાય છે. આથી સ્થાનિક કોર્પોરેટરો અને રહિશોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ  રજૂઆત કરી હતી. જેના પર સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો – મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ખાલી પડેલી જગ્યા પર સેંકડો ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. આ મામલે હાઇકોર્ટમાં પણ પિટિશન થઈ હતી. ત્યારે થોડા સમય પહેલા જ હાઉસિંગ બોર્ડ દ્વારા રહીશોને દબાણની જગ્યા પરનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ અપાઈ હતી. જેના પગલે વર્ષોથી એક સ્થળે રહેતા લોકોએ પણ વાંધો ઉઠાવ્યો હતો..