Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના મુદ્દે હોબાળો કરાતા સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર સમાપ્તિને હવે એકાદ-બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે ગૃહમાં પ્રશ્નોતરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં અદાણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં ઘૂસી ગયા હતા. જેથી વિધાનસભાની કલમ 51 હેઠળ અધ્યક્ષે નેમ કરીને હાજર તમામ ધારાસભ્યને વિધાનસભાની એક દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, સંસદીય બાબતોના મંત્રીની દરખાસ્ત બાદ તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

રાહુલ ગાંધી સાંસદમાંથી પૂર્વ સાંસદ થઈ જતા ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. માનહાની કેસમાં સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ કરી નાંખી છે. રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પણ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા. વિધાનસભા પ્રવેશ દ્વાર પાસે ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. રાહુલ ગાંધી સામે થયેલી કાર્યવાહીનો ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ દ્વારા નિયમ 51 હેઠળ કોંગ્રેસ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢવામાં આવ્યા. આજના એક દિવસ માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. જોકે, બાદમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભાના સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મૂકવામાં આવી હતી. આ દરખાસ્તને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતુ. જેના અંતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વિધાનસભાના સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, કોઇ નિયમ નથી છતાં પૂર્વગ્રહ રાખીને વિપક્ષનું પદ અપાયુ નથી.  ગૃહમાં પહેલાં માહિતી 10  વર્ષની મળતી અત્યારે 2 વર્ષથી વધારે માહિતી નથી આપતા. કેટલાક વિભાગ માં માહિતી અધિકારનો કાયદો નથી લાગતો. બંધારણીય સંસ્થામાં વિપક્ષને બોલવા ન દેવા, ધારાસભામાં કોંગ્રેસને માત્ર 14  મિનિટનો સમય આપવો  એ બતાવે છે કે કોઇએ કંઇ બોલવાનું નહી. જિગ્નેશ મેવાણી પર કેમ કેસ થયા ? હાર્દીક પટેલ કેમ ભાજપમાં ગયો ? બધા કેસ સમાપ્ત અને હાર્દીક પટેલ પવિત્ર છે. સુરતની હકીકત પણ આવનારા દિવસોમાં સામે આવશે. ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતના પ્રજાના પ્રશ્નોના સમયને આ રીતે રાજકીય વિરોધ માં બગાડી શકાય નહીં એટલે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. પ્રશ્નોત્તરી બાદ આ સંદર્ભે સંસદીય મંત્રી પોતાને જે કહેવું હોય તે કહે. અધ્યક્ષની ટકોર બાદ કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં પ્રશ્નોત્તરીનો પ્રારંભ કરાયો હતો.