ગાંધીનગરઃ રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકટ લાગુ કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ કુલપતિ-ઉપકુલપતિઓની નિમણુંક સબંધી ઓર્ડીનન્સમાં ફેરફાર કરવા માટે પણ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે.
કુલપતિ-ઉપકુલપતિની નિમણુંક અંગેના ઓર્ડીનન્સમાં સુધારો કરવાનો થતો હોય તો આ અંગેની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલી આપવા માટે પરિપત્ર ઇશ્યુ કરી તાકીદ કરવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજયની કેટલીક યુનિવર્સિટીઓમાં કુલપતિની લાયકાતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે કોર્ટમાં પણ રિટ થઇ ચુકી છે.
આ સંજોગોમાં શિક્ષણ વિભાગ દ્વારા રાજયની 14 યુનિવર્સિટીઓને પરિપત્ર ઇશ્યુ કરી સ્ટેચ્યુટ ઓર્ડીનન્સમાં સુધારો કરવાના મુદ્દે પરિપત્ર મોકલી દરખાસ્ત મંગાવી છે. આ અંગે ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિ.ઓ માટે કોમન એકટ લાગુ કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેની સાથોસાથ કુલપતિ-ઉપકુલપતિના નિમણુંક અંગેના ઓર્ડીનન્સાં પણ ફેરફાર કરવાની ગતિવિધિઓ તેજ કરાયેલ હોય આઅંગે શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે.