Site icon Revoi.in

ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદારઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભીર છે,  ત્યારે વિદ્યાર્થીઓના સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલા ભરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશની પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. દેશની પ્રીમીયર ઈન્સ્ટિટ્યુટ IIT / IIM / NITs / AIIMS સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વર્ષ 2018થી એપ્રિલ 2023 સુધીમાં 103  વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે.  IITમાં 35, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 29,   NITsમાં 24, એઈમ્સમાં 11 અને IIMમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં  3002  જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જે દેશમાં 6ઠ્ઠા ક્રમે છે.

સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 56013  જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જેમાં  30488 કુમાર અને  25525 દીકરીઓએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં  3002  જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં વર્ષ  2022માં  જ 7 જેટલા મેડીકલ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું જે ખુબ ગંભીર બાબત છે. દેશભરની શૈક્ષણિક સંસ્થામાં આપઘાતના દરમાં 32 ટકાનો વધારો થયો છે. આપઘાત માટે અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર છે. ગુજરાતમાં વર્ષ 2020, 2021 અને 2023 માં પ્રિમિયમ ઇન્સ્ટિટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું. તાજેતરમાં ગુજરાતના દર્શન સોલંકીએ આઈ.આઈ.ટી. મુંબઈમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું, જે ઘટનાએ સમગ્ર દેશમાં પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટની વ્યવસ્થા, વાતાવરણ સામે ગંભિર પ્રશ્નો ઉભા કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો થયો છે. દેશમાં થતી કુલ આત્મહત્યામાંથી 30 ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે. વર્ષ  2021માં દેશમાં રોજ 35 વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે 1-2  વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવે છે. દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાનારની સંખ્યામાં પાંચ વર્ષમાં 26 ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ જાતિ ભેદભાવ, પ્રાંતિય ભેદભાવ, અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે. દેશમાં 2017માં 9905 જ્યારે 2021માં 13,000 વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે. 18 થી 30  વર્ષના વય ધરાવતા, આપઘાત કરનારા 33% OBC અને 20 % SCના વિદ્યાર્થીઓ છે.

Accidental Deaths and Suicides in India (ADSI) અને NCRBના રીપોર્ટમાં અનુસાર વર્ષ 2017માં  45217 લોકોએ, વર્ષ 2021માં  56543 લોકોએ આપઘાત કર્યા છે જે ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે, જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સિલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલીક સમય સુચક પગલા ભરવા જઈએ જેથી કરીને ગુજરાત અને દેશમાં થઇ રહેલા સતત વિધાર્થીઓના આપઘાતો અટકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય.