- વિશ્વ સંવાદ કેન્દ્રની પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ
- રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ અંબેકર સહિત મહાનુભાવોની હાજરીમાં અવોર્ડ સમારંભ યોજાશે
[અલકેશ પટેલ] અમદાવાદ, 3 એપ્રિલ, 2026 – સોશિયલ મીડિયાએ માહિતી અર્થતંત્રનું લોકશાહીકરણ કરી દીધું છે. ગ્રામ્ય કિશોરો-યુવાનોથી માંડી અનેક લોકો તેમના રસના વિષયમાં કન્ટેન્ટ બનાવીને અનેક લોકો સુધી પહોંચી શકે છે, તેમ પોડકાસ્ટર અને આંત્રપેન્યોર જય થડેશ્વરે આજે અહીં કહ્યું હતું.
વિશ્વ સંવાદ કેન્દ્રના નેજા હેઠળ આગામી રવિવારે યોજાઈ રહેલા સપ્તરંગ ક્રિએટર્સ અવોર્ડ સમારંભ વિશે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને જય થડેશ્વરે કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો આટલા માટે પાયે પર ક્રિએટર્સ માટે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આનંદની વાત છે.
પ્રારંભમાં પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલે આ સમગ્ર પહેલની ભૂમિકા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, આજનો સમય ડિજિટલ ક્રાંતિનો છે અને તેને પગલે ઓરેન્જ ઈકોનોમી દસ્તક દઈ રહી છે ત્યારે ઉભરતા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે.
સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટનો હેતુ 10,000થી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને પ્રોત્સાહિત કરવાનો છે. આ માટે સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લેવા ઉત્સાહ બતાવ્યો. જેને પગલે 16 કેટેગરીમાં 16 અવોર્ડને બદલે 16 કેટેગરીમાં 32 અવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, રાજ્યના તમામ જિલ્લામાંથી ક્રિએટર્સ દ્વારા એન્ટ્રી આવી છે. આ ક્રિએટર્સ ફેસ્ટમાં વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે સર્વશ્રી અશોક મંડલ (ડિરેક્ટર, એનઆઈડી), શિરીષ કાશીકર (ડિરેક્ટર, એનઆઈએમસીજે), જય થડેશ્વર, ખંતિલભાઈ તથા વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી વિજય ઠાકર જેવા મહાનુભાવો સેવા આપી રહ્યા છે.
તેજસ પટેલે માહિતી આપી કે, હવે 10 હજારથી એક લાખ સુધીના ફોલોઅર ધરાવનાર વિજેતાઓ માટે રાઈઝિંગ ક્રિએટર્સ તથા એક લાખથી વધુ ફોલોઅર ધરાવતા વિજેતાઓ માટે સ્ટાર ક્રિએટર્સ – એમ બંને કેટેગરીમાં 16-16 અર્થાત કુલ 32 ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઈડરના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બંને કેટેગરીમાં કુલ 1493 રજિસ્ટ્રેશન થયા હતા અને તેમાંથી રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરના નિષ્ણાતોની બનેલી જ્યુરીએ કુલ 887 એન્ટ્રીની સ્પર્ધા માટે પસંદગી કરી છે અને તેમાંથી 32 વિજેતા પસંદ કરવામાં આવશે.
રવિવારે યોજાનાર આ કાર્યક્રમમાં દિવસ દરમિયાન ક્રિએટર્સ સાથે સંવાદ કરવામાં આવશે, નિષ્ણાતો દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવશે. અને સાંજે અવોર્ડ સમારંભ યોજાશે.
રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ અંબેકર સહિત મહાનુભાવોની હાજરીમાં અવોર્ડ સમારંભ યોજાશે. તેમાં પ્રફુલ ગર્ગ, મિનાક્ષી શહરાવત, નિખિલ ચંદવાની, જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી (અમદાવાદી મેન), કુલદીપસિંહ કલેર (પોઝિટિવ પાજી), સિડ પ્રજાપતિ (એસપી ઈન્ડિયા), વિશાલ પારેખ (વિશાલ ડીઓપી) જેવા દિગ્ગજ ઈન્ફ્યુલેન્સર – કલાકાર પણ ઉપસ્થિત રહશે.

