Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તાબડતોબ દિલ્હી પહોંચવા હાઈકમાન્ડનો આદેશ

Social Share

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પર મોટું જોખમ ઊભુ થયુ છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્યોએ સુરતની ફાઈવસ્ટાર હોટલમાં ધામા નાંખ્યા છે. જેમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજીબાજુ ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અચાનક દિલ્હીથી તેડું આવતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી પહોંચવા ઉપમાન કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બુધવાર સવાર સુધીમાં દિલ્લી પહોંચવા આદેશ છુટ્યા છે. ED દ્વારા રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછ માટે થઈ રહેલા વિરોધમાં સામેલ થવા સૂચના આપી હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ અંદરખાને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પણ બે દિવસ દિલ્લીમાં રોકાશે. કહેવાય છે કે, ઇડી દ્વારા રાહુલ ગાંધીની થઇ રહેલી પુછપરછ અંગે કોંગ્રેસ વધુ આક્રમક બની રહી છે. જેના કારણે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. બુધવારે સવાર સુધીમાં તમામ ધારાસભ્યોને દિલ્હી પહોંચવા આદેશ કરાયો છે. રાહુલ ગાંધીને ઇડીએ આપેલા સમન્સ અને ચાર દિવસથી થઇ રહેલી પુછપરછના વિરોધમાં દિલ્હી પહોંચવા આદેશ અપાયો હોય તેવું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા છે, ત્યારે અંદરખાને તમામ  નેતાઓમાં ગૂસપૂસ ચાલું થઈ ગઈ છે. એવું કહેવાય છે કે, તમામ રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધી ઈડી સમક્ષ તા.23મીએ હાજર થવાના છે. ગાંધી પરિવારને ઈડી દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યો હોય કોંગ્રેસ દ્વારા આક્રમક કાર્યક્રમ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે.