Site icon Revoi.in

ઈતિહાસ દર્પણ-1 : ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!

Social Share

ગુજરાતના વ્યાપારીક કેન્દ્ર રહેલા ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. 1325માં શાકુનિકાવિહાર નામના જૈન મંદિર પર બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ મૂળ માળખું ઈ.સ. પૂર્વે 220માં શ્રીલંકાની રાજકુમારી સુદર્શનાએ બનાવડાવ્યું હતું. મહી નદીના સમુદ્ર સાથે મળવાના મુખપ્રદેશ પર ખંભાત શહેર આવેલું છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાના બે મહત્વના અખાત કચ્છ અને ખંભાત છે.

ખંભાત શહેર અમદાવાદથી 100 કિલોમીટર દૂર અને વડોદરાથી 78 કિલોમીટરના અંતરે આવેલું છે.

દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરીને 1324માં ખંભાતને કબજે કર્યું હતું. આ આક્રમણ વખતે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરોને અપવિત્ર કરીને ધ્વસ્ત કર્યા હતા.

મસ્જિદ સંદર્ભેના તામ્રલેખ પ્રમાણે, તેનું નિર્માણ 1325માં પહેલાની ધ્વસ્ત કરાયેલી ઈમારતના અવશેષ પર કરવામાં આવ્યું હતું. આ માળખું વધારે ગુંબજ અને મિનારા ધરાવતું નથી. તે સંકેત કરે છે કે પહેલાના સમયમાં મંદિરો પર મસ્જિદોના નિર્માણ થયા હતા.

તે તબક્કો ગુજરાતમાં ઈસ્લામિક આર્કિટેક્ચરનો પ્રારંભિક કાળ હતો. આ શહેરના ઉમર બિન અહમદ અલ-કઝારુની નામના વેપારીએ મસ્જિદ નિર્માણના કામની સારસંભાળ લીધી હતી. આ વેપારીને મસ્જિદ નિર્માણનો શ્રેય આપવામાં આવે છે. તેની કબર મસ્જિદની અંદર આવેલી છે.

આ જામી મસ્જિદના પ્રવેશદ્વાર પર હિંદુ રીતરસમ પ્રમાણેની તોરણ કળા જોવા મળે છે. પ્રશ્ન એ છે કે મુસ્લિમોની ઈબાદત- નમાજ માટે બનેલી મસ્જિદમાં તોરણ શા માટે બનાવવામાં આવ્યું હશે?

મસ્જિદના પવિત્રસ્થાનની છતને 100 સ્થંભો ટેકો આપી રહ્યા છે અને તે સંકેત કરે છે કે આ સ્થાન મંદિર હોવાની શક્યતા છે.

પ્રવેશદ્વાર પર મંડપ જેવું માળખું છે. તે ઈમારતનો પેટાવિભાગ પણ છે. તેને પણ ખંભાતની જામી મસ્જિદ એક વખતે મંદિર હોવાના સંકેત માનવામાં આવે છે.

અહીં માળખામાં દેખાતી પગથિયા અને બેઠક હિંદુ અથવા જૈન રાજા-રાણીઓના દરબાર જેવું દ્રશ્ય ઉભું કરે છે. પગથિયા પાસેની ડિઝાઈન પણ સંકેત કરે છે કે તે ઈસ્લામના આગમન પહેલાનું નિર્માણ છે.

સ્થંભો અને દીવાલો પરની કોતરણી સ્પષ્ટપણે આના પહેલા મંદિર હોવાના સંકેત કરે છે. આ મંદિર ભારત પર ઈસ્લામિક આક્રમણ પહેલા અસ્તિત્વમાં હોવાની શક્યતા છે.

કદાચ મંદિરની દીવાલ પર જ અરેબિક વાક્યો ઉતાવળે કોતરવામાં આવ્યા હોઈ શકે છે.

બારીઓ પર ફૂલ અને ચક્રની કોતરણીઓ પણ સંકેત કરે છે કે અહીં મંદિરનું માળખું તેના મસ્જિદમાં પરિવર્તિત થતા પહેલા અસ્તિત્વમાં હતું. મહિલા ગેલેરીમાં મહિલાઓના ખાનગીપણાની જાળવણી માટે કોતરણીવાળી જાણી પણ બનાવવામાં આવી છે. જો કે આ અલગ-અલગ પેટર્ન દર્શાવે છે કે માળખામાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે.