Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે મોડી રાત્રે ઈમ્ફાલમાં યોજી સમીક્ષા બેઠક,આજે ચુરાચાંદપુરની સ્થિતિની સમીક્ષા કરશે

Social Share

ઈમ્ફાલ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે મોડી રાત્રે હિંસાગ્રસ્ત મણિપુરની ચાર દિવસીય મુલાકાતે ઇમ્ફાલ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર ગૃહમંત્રીનું મુખ્યમંત્રી એન.બીરેન સિંહ,તેમના મંત્રીમંડળના સભ્યો અને બીજેપી અધ્યક્ષએ તેમનું સ્વાગત કર્યું.

ત્યારબાદ શાહે ઈમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોડી રાત્રે ગૃહમંત્રી મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળ્યા હતા. તે જ સમયે, શાહના મણિપુર આગમન પર તેમના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા છે. બંને સમાજ વતી બેનરો લગાવીને ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

અમિત શાહનો આજે ચુરાચાંદપુર જવાનો કાર્યક્રમ છે. ચાર દિવસની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લોકોને મળશે. આ દરમિયાન તેઓ સૈન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. મણિપુરના લોકોને સંપૂર્ણ આશા છે કે ગૃહમંત્રીની મુલાકાત બાદ રાજ્યમાં શાંતિ પાછી આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મણિપુરની ચાર દિવસીય મુલાકાતે લગભગ 9.15 વાગ્યે ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રીની સાથે ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ છે. ગૃહમંત્રી 1 જૂન સુધી રાજ્યમાં રહેશે. આ દરમિયાન તેઓ પરિસ્થિતિનો તાગ મેળવશે. આ સાથે તેઓ જુદા-જુદા જિલ્લાનો પ્રવાસ કરશે અને બંને સમુદાયના લોકોને મળશે અને શાંતિ માટે રાહત મેળવવાનો પ્રયાસ કરશે.

Exit mobile version