Site icon Revoi.in

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

Social Share

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. પ્રવાસીઓના ધસારાને પહોંચવા માટે દર વર્ષે દરેક ડિવિઝનમાંથી વધારાની બસોનું સંચાલન કરે છે અને ચાલુ વર્ષે પણ દોડાવશે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં 51 લોકોનું ગ્રુપ બુકિંગ કરશે તો એસટી બસ ઘરેથી નોન સ્ટોપ પોતાના વતન પહોંચાડશે.

એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે એસટી આપના દ્વારે આવશે. દિવાળીના તહેવારોને લઈ સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, ગુજરાતના કોઈ પણ શહેરમાંથી ગ્રુપ માટે બસ બુકિંગ કરાવી શકશે. તેમજ વધારાની બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 51 સીટનું ગ્રુપ બુકિંગ કરવો અને આપના ઘરથી વતન આવેલા ઘર સુધી પહોંચાડશે. આ એસટી બસની વિશેષ સેવાનો લાભ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીમાં લઈ શકશે.

એડવાન્સ ઓનલાઈન બુકિંગ www.gsrtc.in અને gsrtc એપથી કરવી શકાશે. તેમજ એસટી નિગમના અધિકૃત એજન્ટો દ્વારા બુકિંગ કરવી શકાશે. દિવાળીના તહેવારોમાં ખાનગી બસોના ભાડા વધી જતાં હોય છે અને તહેવારોમાં મુસાફરી કરવી સામાન્ય લોકોને મોંઘી પડતી હોય છે. ત્યારે એસટી નિગમ વ્યાજબી દરે સુરક્ષિત મુસાફરી કરાવવા માટે સજ્જ બન્યું છે. એસટી બસમાં એક જ પરિવારની 4 કરતા વધુ ટિકિટ બુક કરાવશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે અને સાથે જ રિર્ટન ટિકિટ બુક કરાવશે તો ટિકિટના ચાર્જ પર 10 ટકા ડિસ્કાઉન્ટ એસટી નિગમ આપશે. દિવાળીના તહેવારમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ તૈયાર છે.

(PHOTO-FILE)