Site icon Revoi.in

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા વિજય રૂપાણી, મોટી જવાબદારી સોંપવાની અટકળો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રૂપાણી સરકારને એકાએક ઘરભેગી કરીને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી. રાજ્યના ભાજપના રાજકરણમાં અનેક મુખ્યમંત્રીઓ પોતાના પાંચ વર્ષ પુરા કરે તે પહેલા તેમનું રાજીનામુ માંગી લેવામાં આવે છે. આવું રૂપાણી સાથે પણ થયું હતું.  વિજય રૂપાણીએ અચાનક રાજીનામુ ધર્યા બાદ નારાજગી અને વિવાદોનાં અનેક સુર છેડાયા હતા. રૂપાણીએ  વડાપ્રધાન મોદીનો સમય માગવામાં કાઈ બાકી રાખ્યું નહોતું. જોકે કોઈપણ કારણસર મોદી સમય આપતા નહોતા. ત્યારે આજે અચાનક 84 દિવસ પછી  વડાપ્રધાન મોદી  દિલ્હીમાં વિજય રૂપાણીને મળતા મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિજય રૂપાણીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કંઈ પૂછ્યું નથી અને પાર્ટીએ કાંઈ કહ્યું નથી. જે સોંપશે તે સ્વીકારી લઈશ. બીજીતરફ વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવી ગયો છે. અને રાજકોટમાં રીતસર બે જૂથ પડી ગયા હતા. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સુચક માનવામાં આવે છે.

સૂત્રોએ વધુમાં  જણાવ્યું હતું કે,  ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે  વિજય રૂપાણીને ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે કાઈ મોટી જવાબદારી સોંપે તેવું ચર્ચાઈ રહ્યું છે. રૂપાણી પ્રભારી બને કે પછી તેને અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવશે તેવો આંતરિક ગણગણાટ ફરી શરૂ થયો છે. હાલ પણ સંગઠનમાં રૂપાણીની પકડ મજબૂત છે એટલે કોઈ રાજ્યનાં પ્રભારી બનાવાય તો નવાઈ નહિ. જો કે આ મામલે રૂપાણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને તેઓ વડાપ્રધાન સાથેની પોતાની આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જ જણાવી રહ્યા છે. (file photo)