Site icon Revoi.in

લખતર તાલુકામાં વંટોળીયો ફુંકાતા થાંભલા-મોબાઇલ ટાવર ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો ફુંકાયો હતો. આકાશમાંથી વંટોળિયો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. ભારે વંટોળિયાને કારણે અનેક ઘરોના છાપરા, વીજળીના થાંભલાં, મોબાઈવ ટાવર વગેરેને ભારે નુકશાન થયું હતું. વીજળીના પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

સૂરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ભારે વંટોળિયો ફુંકાયો હતો. વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ વિઠ્ઠલગઢ ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિઠ્ઠલગઢ, જ્યોતિપરા સહિતનાં ગામોમાં ઘર, દુકાનને નુકસાન થયું હતું. લખતર પંથકના વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. વાવાઝોડાના કારણે 18 વીજથાંભલા પડવાથી વીજળી ગુલ થઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો.કેટલાક માબાઈલના  ટાવર પણ પડી ગયા હતા. વીજ થાંભલો પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું કે લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલથી નુકશાન થયું છે. તેમજ તાલુકાના 12 ગામોને અસર થઈ હતી. હજુપણ 12 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયલો છે. વહેલીતકે વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.