Site icon Revoi.in

પીપલસટ ગામની ઘટનાઃ ખેડુતે વાડમાં વીજ કરંટ મુક્યો અને તેના પરિવારના ત્રણ સભ્યો ભોગ બન્યાં

Social Share

સંખેડા :  છોટાઉદેપુરના સંખેડાના પીપલસટ ગામે એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, તેનાથી તેના પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા નાના એવા ગામમાં એરેરાટી વ્યાપી ગઈ હતી. ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત મળ્યું હતું.

સંખેડાના પીપલસટ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા હતા. આ ધટનામાં એક પિતા-પુત્રના મોત નિપજ્યા છે. તો બંનેના મૃતદેહોથી 500 મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા. સંખેડા પોલીસે ત્રણેયના મોત અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં માલૂમ પડ્યુ કે, પીપળસટ ગામના બારિયા રાજુભાઈ (ઉંમર વર્ષ 47) ખેતરથી ગઈકાલે સમયસર ઘરે આવ્યા ન હતા. તેથી તેમનો પુત્ર સંજય તેમને શોધવા ખેતર પાસે ગયો હતો. થોડા કલાકો બાદ સંજય પણ પરત ફર્યો ન હતો. તેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા ખેતરમાં રાજુભાઈ અને સંજય બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને 500 મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા. આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ખેતરને ભૂંડોના ત્રાસથી બચાવવા માટે રાજુભાઈએ ખેતર ફરતે કરેલી તારની વાડમાં વીજ કરંટ છોડ્યો હતો. બાજુના ખેતરમાં આશરે 300 મીટર દૂર ઓરડી આવેલ છે. ઓરડીમાંથી વાયર બહાર કાઢી ઝાટકાના તાર સાથે બાંધ્યો હતો. આમ, પોતાના જ ખેતરની વાડમાં મૂકેલ વીજ કરંટથી તેમનો જ જીવ ગયો હતો.