Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પરીક્ષાના પેપરલિક સામે કડક કાયદો ઘડાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં બરતી માટેની વિવધ પરીક્ષાઓના પેપર ફુટવાની અનેક ઘટનાઓ બની છે. છતાં સરકાર ફુલપ્રુફ વ્યવસ્થા કરી શકી નથી. સરકાર પાસે અદ્યત્તન પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં બહારની ખાનગી એજન્સીઓને કામ કેમ સોંપવામાં આવે છે. તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. હવે સરકાર દ્વારા પેપરલિક સામે કડક કાયદો બનાવાશે. અને તેનું બિલ આગામી વિધાનસભાના બજેટ સત્રમાં લાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે ભરતી પરીક્ષાઓમાં બનતાં પેપર ફૂટવાના કિસ્સાને ડામવા માટે એક વિધેયક તૈયાર કર્યું છે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને જરૂરી મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. તેના અમલીકરણથી ભવિષ્યમાં પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે 3થી માંડીને 10 વર્ષની કડક સજા થશે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ માટે સરકારે કાયદાનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે અને સમગ્ર દેશમાં આવા કિસ્સા વિરોધી કાનૂનમાં ન હોય તેવા કડક કાયદા અને કલમો દાખલ કરવામાં આવ્યા છે. ગુજસીટોક, મકોકા જેવા ગુનાહિત ષડયંત્રના કિસ્સામાં લાગુ કરાય છે તેવી કલમો આઇપીસીની વિવિધ કલમો લાગુ કરાશે. આ માટે સામાન્ય વહીવટ વિભાગે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર વિધેયકનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે તેને મંજૂરી આપી દીધી છે. હવે તે વિધેયક વિધાનસભા ગૃહમાં મંજૂરી માટે આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.

સામાન્ય વહિવટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ પેપરલિક કરનારા સામે વિધાનસભાના આગામી બજેટ સત્રમાં બિલ લાવવામાં આવશે. જેમાં એવી જોગવાઈ કરાશે કે, પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 10 વર્ષની કડક જેલની સજા, બિનજામીનપાત્ર ગુનો, સંપત્તિ ટાંચમાં લેવાશે. તેમજ પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- સાત વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, મિલકત ટાંચમાં લેવાશે, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ મુકાશે.  પેપર ખરીદનારાં ઉમેદવારો- ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ મુકાશે. લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય.