Site icon Revoi.in

ખારાઘોડાના રણમાં રણલોંકડીની વસતીમાં થયો વધારો,સાંજના સમયે તીખા અને તીણા અવાજો કરે છે

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરુ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોડાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લાં 2 વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ હોવાનું વન વિભાગનું માનવું છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ 2 પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે.

ખારાઘોડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણમાં કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના 9 જીવંત દર મળી આવ્યા બાદ વન વિભાગના જણાવ્યાનુસાર અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા 2 વર્ષમાં બમણીથી વધારે થતાં હાલમાં રણમાં અંદાજે 100થી 125 જેટલી દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. રણલોંકડી એ ભૂખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શિયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે.તે સામાન્ય રીતે સૂકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશ દ્વાર હોય છે. આ પ્રાણી મોટે ભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે. અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણલોંકડી હતી. રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 100થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પર તો રણલોંકડીના એક સાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ સિવાય વેરાન રણમાં દુર્લભ કાળિયારનું ઝુંડ અને વરુની પણ હાજરી જોવા મળી હોવાનું વન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.