Site icon Revoi.in

પાટડીના રણકાંઠાના ગામોમાં પરંપરાગત ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકમાં આવેલા પાટડીના રણ વિસ્તારના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી બેસતા વર્ષના દિવસની સવારે ગાયો દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. નવા વર્ષને વધાવવા ગ્રામજનો દ્વારા ગાયોને  ગોવાળો પાછળ દોડાવવામાં આવે છે. માલધારીઓ ધૂળની ઉડતી રજને માથા પર ચઢાવે છે. તેમજ માલધારી સમાજના લોકો ગાયોને સુશોભિત કરી, પૂજન કરી ગાયોને ઘાસચારો અર્પણ કરે છે. ગોવાળો પાછળ ગાયો દાડાવવાની સ્પર્ધા નિહાળવા માટે ગ્રામજનો માટી સંખ્યામાં એકઠા થાય છે.

પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ બેસતા વર્ષની વહેલી સવારે ગ‍ામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાઇ હતી. જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ અનોખી હરિફાઇમાં પ્રથમ આવનારા ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા અને પાનવા સહિતના ગામોમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની સ્પર્ધા યોજવામાં આવે છે. ગોવાળો સાથે ગાયો દોડાવવી એ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે. ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે. પરંતુ આ વિસ્તારમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે. ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે, જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે. ગ્રામજનોના કહેવા મુજબ  સવારે 10 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે. જેને ગામેરુ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. ત્યારબાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરાથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.

ધામા ગામના વડીલોના કહેવા મુજબ  એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળો  પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો અને મળવાનો સિલસિલો શરુ થાય છે, જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.

પાટડી ગામનાં ભાગોળે ગોવાળ સાથે અનોખી ગાય દોડ સ્પર્ધા યોજાયા બાદ રામજી મંદિરમાં આરતી કરીનેં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માલધારી સમાજ એકબીજાને રામરામ કરી આખા વર્ષનાં લેખાજોખાનો હિસાબ કરી સમાજમાં વ્યસનની બદી દૂર થાય અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.