Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રમાં 27 ટકા OBC અનામત સહિત 7 વિધેયક રજુ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા. 13મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકાર દ્વારા સાત જેટલા વિધેયકો રજુ કરવામાં આવશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી વર્ગને 27 ટકા અનામત, કોમન યુનિ. એક્ટ, વગેરેનો સમાવેશ થાય છે. સત્રમાં પ્રથમવાર ગૃહ પેપરલેસ બનશે. એટલે કે, વિધાનસભાને ઈ-વિધાન એપ્લિકેશન આધારિત સંપુર્ણતઃ . પેપરલેસ રીતે સંચાલન હેઠળ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભામાં પહેલીવાર ‘E-વિધાનસભા’ એટલેકે, ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવશે. ઈ-વિધાનસભા માટે સત્ર પહેલાં ગૃહમાં તેનું રિહર્સલ કરવામાં આવશે. જેથી ગૃહના દરેક સભ્યો તેનાથી અવગત હોય. પેપર લેશ ઓફિસ અને પેપર લેશ વર્ક મેથડને ફોલો કરવા ઈ-વિધાનસભાને અમલી બનાવવામાં આવશે. શહેરી અને પંચાયત રાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનપ્રતિનિધિત્વ અને પદાધિકારી એમ બંને સ્તરે 27 ટકા અન્ય પછાત વર્ગો- OBC માટે બેઠકો અનામત રાખવા રાજ્ય સરકારે ત્રણ કાયદાઓ સુધારશે. 13મી સપ્ટેમ્બરથી મળી રહેલા ચોમાસુ સત્રમાં વિવિધ બિલ રજૂ કરાશે. 13, 14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી આ સત્ર મળશે.

15મી વિધાનસભાના પ્રથમ ચોમાસુ સત્રમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, નગરપાલિકા અધિનિયમ અને પંચાયત એક્ટ એમ ત્રણ કાયદામાં સમાન સુધારા માટે એક વિધેયક રજૂ કરશે. રાજ્યમાં પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 10 ટકા બેઠકો  અનામત હતી.  એક દાયકા પૂર્વે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના અનુસંધાને સરકારે ગતવર્ષે નિવૃત ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષપદે OBCને વસ્તીના ધોરણે પાલિકાઓ- પંચાયતોમાં પ્રતિનિધિત્વ આપવા કમિશન રચ્યું હતું. જેની ભલામણોને સ્વીકાર્યા બાદ ગત સપ્તાહે રાજ્ય સરકારે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન, 157 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત, 261 તાલુકા પંચાયતો અને 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 10ને બદલે 27 ટકા બેઠકો અને પદો OBC સમૂહ માટે અનામત રાખવા નિર્ણય કર્યો હતો. હવે તેના અમલ માટે આ સંસ્થાઓનું નિયમનકર્તા ત્રણ અલગ અલગ કાયદાને સંયુક્ત રીતે સુધારા માટે વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આવા સુધારા ઉપરાંત ચોમાસુ સત્ર દરમિયાન કોમન યુનિવર્સિટી એક્ટ, મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના માટે બે નવા કાયદા, મળી સાતેક કાયદા બદલવા સરકારે ઈરાદો જાહેર કર્યાનું જાણવા મળ્યુ છે. ચોમાસુ સત્રથી 15મી વિધાનસભાને ઈ-વિધાન એપ્લિકેશન આધારિત સંપુર્ણતઃ . પેપરલેસ રીતે સંચાલન હેઠળ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.