ડાયટ ટિપ્સ, 07 માર્ચ 2026: આજના સમયમાં ખરાબ ખાનપાનને કારણે પાચનની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રોબાયોટિક એટલે કે ફર્મેન્ટેડ ફૂડ અત્યંત જરૂરી છે. આ એવા ખોરાક છે જેમાં કુદરતી રીતે સારા બેક્ટેરિયા હોય છે, જે પાચન સુધારવાની સાથે શરીરને ઠંડક પણ આપે છે. આવો જાણીએ આવી જ કેટલીક પરંપરાગત અને આધુનિક વાનગીઓ વિશે.
બોરે-બાસી: બોરે-બાસી એ છત્તીસગઢ અને પૂર્વ ભારતની લોકપ્રિય વાનગી છે. રાત્રે વધેલા ભાતને પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને સવારે તેને દહીં, ડુંગળી તથા અથાણાં સાથે ખાવામાં આવે છે. આથો આવવાને કારણે તેમાં પુષ્કળ ગુડ બેક્ટેરિયા પેદા થાય છે, જે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપે છે.
કાંજી: કાળી ગાજર, બીટ, રાઈ અને પાણીમાંથી તૈયાર કરવામાં આવતી કાંજી એ ભારતનું પરંપરાગત ફર્મેન્ટેડ પીણું છે. આ બધી વસ્તુઓને જારમાં ભરી થોડા દિવસો સુધી રાખવાથી તેમાં હેલ્ધી બેક્ટેરિયા બને છે. ગરમીના દિવસોમાં આ પીણું પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કેફિર: કેફિર દૂધમાંથી બને છે, પરંતુ તેમાં દહીં કરતા પણ વધુ પ્રોબાયોટિક બેક્ટેરિયા જોવા મળે છે. તેને દૂધમાં ‘કેફિર ગ્રેઈન્સ’ ઉમેરીને તૈયાર કરાય છે. આંતરડાને મજબૂત બનાવવા અને પાચનતંત્રને સુધારવા માટે તે ઉત્તમ વિકલ્પ છે.
કીમચી: આ એક કોરિયન વાનગી છે જે કોબીજ, મૂળા, લસણ અને વિવિધ મસાલાના મિશ્રણથી બને છે. તેને લાંબો સમય સ્ટોર કરવાથી તેમાં કુદરતી પ્રોબાયોટિક્સ પેદા થાય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની પૂર્તિ પણ કરે છે.
કંબૂચા: કાળી કે લીલી ચાને ખાસ બેક્ટેરિયા અથવા યીસ્ટ દ્વારા ફર્મેન્ટ કરીને કંબૂચા તૈયાર કરવામાં આવે છે. આ ડ્રિંક શરીરમાંથી ટોક્સિન (ઝેરી તત્વો) બહાર કાઢવામાં મદદ કરે છે અને એનર્જી લેવલ વધારે છે.
સાઉરક્રાટ: ઝીણી સમારેલી કોબીજ અને મીઠાના મિશ્રણને ફર્મેન્ટ કરીને સાઉરક્રાટ બનાવાય છે. આ વાનગી માત્ર પાચન જ નથી સુધારતી, પરંતુ વિટામિન C અને ફાઈબરનો પણ મોટો સ્ત્રોત છે.
કોઈ પણ નવા ફૂડને ડાયટમાં સામેલ કરતા પહેલા તેની માત્રા મર્યાદિત રાખવી અને જરૂર જણાય તો નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
વધુ વાંચો: ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારી નિર્ણય, ન્યૂઝ ચેનલોના ટીઆરપી પર ચાર અઠવાડિયાનો પ્રતિબંધ

