નવી દિલ્હી, 14 માર્ચ 2026: અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 15માં દિવસે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતનું ‘શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’નું LPG ગેસ લઈ જતું જહાજ ‘શિવાલિક’ શુક્રવારે(13 માર્ચ, 2026) રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ(Hormuz Strait) માંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. ‘મરીન ટ્રાફિક’ ટ્રેકિંગ સાઇટ મુજબ, 50,000 ટનથી વધુની ક્ષમતા ધરાવતું આ જહાજ 7 માર્ચે કતારથી અમેરિકા જવા રવાના થયું હતું. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે આટલા મોટા જથ્થા સાથે જહાજનું સુરક્ષિત નીકળવું ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.
બીજી તરફ, દેશમાં LPGના પુરવઠાને લઈને ફેલાયેલી અફવાઓ પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, દેશમાં ગેસની કોઈ અછત નથી, પરંતુ ખોટી માહિતીને કારણે લોકો ગભરાટમાં આવીને સંગ્રહખોરી કરી રહ્યા છે.
આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે બે સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો લઘુત્તમ ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દીધો છે. આ ઉપરાંત, ગેસના ગેરકાયદે ડાયવર્ઝનને રોકવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’ (DAC) સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે, જે અંતર્ગત ગ્રાહકે સિલિન્ડર લેતી વખતે ડિલિવરી બોયને કોડ આપવો પડશે.
આ દરમિયાન, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકન સેનાએ પર્શિયન ગલ્ફમાં આવેલા ઈરાનના મહત્ત્વના સૈન્ય મથક ‘ખાર્ગ આઇલેન્ડ’ને તબાહ કરી દીધું છે.
તેમણે ચેતવણી આપી છે કે, જરૂર પડ્યે ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઈરાનનો 80 થી 90 ટકા કાચા તેલનો નિકાસ આ ટાપુ પરથી જ થાય છે, જેના કારણે વિશ્વબજારમાં તેલના પુરવઠા પર મોટું જોખમ ઉભું થયું છે.
વધુ વાંચો: હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપશે ઈરાન

