Site icon Revoi.in

એન્ટાર્કટિકામાં પણ કોરોના વાયરસનો ફેલાવો, 36 લોકો થયા સંક્રમિત

Social Share

એન્ટાર્કટિકા: કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. જો કે થોડા સમય પહેલા સુધી મહાદ્વીપ એન્ટાર્કટિકા મહામારીના પ્રકોપથી દૂર હતો, પરંતુ સોમવારે અહીં પણ કોવિડ-19ના કેસ નોંધાયા છે. અહીં ચિલી સ્થિત એક રિસર્ચ સેન્ટરમાં 36 લોકોના કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અંગ્રેજી વેબસાઇટ ડેઇલી મેલના એક રિપોર્ટમાં મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચિલી સ્થિત એક રિસર્ચ સેન્ટરમાં 36 લોકો કોરોના પોઝિટિવ મળતા હોબાળો મચી ગયો છે. અહીં સંક્રમિત થનારા 36 લોકો પૈકી 26 સેનાના જવાન છે. જ્યારે 10 લોકો મેન્ટેનન્સ ટીમના સભ્યો છે.

સેનાએ જણાવ્યું કે તેઓએ તમામ સંક્રમિતોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં અનેક દેશોના રિસર્ચ સેન્ટરો કાર્યરત છે. બીજી તરફ, કોરોના વાયરસથી સુરક્ષાને ધ્યાને લઈ લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મહામારીના કારણે રિસર્ચના કામમાં પણ ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ એન્ટાર્કટિકામાં પર્યટન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારી સહિત મહાદ્વીપને કોરોનાથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ગત 27 નવેમ્બરે ચિલીથી થોડોક સામાન એન્ટાર્કટિકા આવ્યો હતો. આ કારણથી ત્યાં લોકોમાં સંક્રમણ ફેલાયું.

આનાથી વિપરિત ચિલીની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સામાન મોકલાતા પહેલા તમામ લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં તમામ લોકો નેગેટિવ આવ્યા હતા. જ્યારે એન્ટાર્કટિકામાં આ સામાન ઉતર્યા બાદ જ્યારે જહાજથી લોકો પરત ફર્યા તો કેટલાક લોકોમાં વાયરસ મળ્યા હતા.

નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના નવા સ્વરૂપે બ્રિટનમાં દહેશત ફેલાવી છે. ભારતમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 23 ડિસેમ્બરથી યૂકેથી આવનારી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

(સંકેત)