Site icon Revoi.in

કોવેક્સિન લેનારા માટે મહત્વના સમાચાર, WHO એ EOI નો સ્વીકાર કર્યો

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે અને દેશમાં ઝડપી વેક્સિનેશન માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી માન્યતા મળી શકે છે. WHO પાસેથી માન્યતા મળ્યા બાદ કોવેક્સિન રસી લઇ ચૂકેલા લોકોના વિદેશ પ્રવાસનો માર્ગ મોકળો બનશે.

વિશ્વ આરોગ્ય સંગઠનની માન્યતા અપાવવાના ક્રમમાં ભારત બાયોટેકે 19 એપ્રિલના રોજ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ WHOમાં જમા કરાવ્યું હતું. તેને હવે વિશ્વ આરોગ્ય સંગઠને સ્વીકારી લીધુ છે. આ દિશામાં હવે Pre Submission બેઠક 23 જૂનના રોજ યોજાશે.

કોરોના વાયરસ વિરુદ્વની લડતમાં કોવેક્સિન પ્રથમ સ્વદેશી વેક્સિન છે. કોવેક્સિનને ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદએ સંયુક્તપણે બનાવી છે.

બીજી તરફ કોવેક્સિનમાં વાછરડાના સીરમના ઉપયોગ પર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આ માત્ર એક અફવા છે અને તથ્યોને મારી મરોડીને રજૂ કરાયા છે.