Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાંથી ભારતના 50 ડિપ્લોમેટ્સ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવી લેવાયા

Social Share

નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘરવાપસી બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો દબદબો અને કહેર વધી રહ્યો છે. આ વચ્ચે હવે ભારતે કંદહાર સ્થિત પોતાના 50 ડિપ્લોમેટ્સને અને સુરક્ષાકર્મીઓને પાછા બોલાવી લીધા છે. વાયુસેનાના એક ખાસ વિમાન મારફતે તેમને પરત લાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર શનિવારે આ વિમાન દિલ્હી માટે રવાના થયું હતું. સ્થાનિક કર્મચારીઓ હજુ ભારતીય કચેરીમાં છે પણ વાણિજ્ય દુતાવાસ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયું છે. આપને જણાવી દઇએ કે, કંદહારમાંથી ભારતીય ડિપ્લોમેટ્સને પાછા બોલાવવાનો નિર્ણય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ આવ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે કંદહાર અને અફઘાનિસ્તાનના દક્ષિણમાં આવેલા પ્રાંતોમાં પાકિસ્તાનના લશ્કર એ તોયબાના આંતકવાદીઓ મોટી સંખ્યામાં હાજર છે.જેના કારણે અહીંથી ભારતીય કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે.દક્ષિણી અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે મળીને લશ્કર એ તોયબાના 7000 આતંકીઓ અફઘાનિસ્તાનની સેના સામે લડી રહ્યા છે.