તેહરાન, 14 એપ્રિલ 2026: ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમા મોહાજેરાનીએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકી અને ઈઝરાયેલ હુમલાઓને કારણે દેશને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ હુમલાઓથી ઈરાનને અંદાજે 270 અબજ ડોલર (આશરે રૂ. 22.5 લાખ કરોડથી વધુ)નું ભારે નુકસાન થયું હોવાના સંકેત મળ્યા છે.
પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, આ આંકડો હજુ પ્રારંભિક છે. નુકસાનના વધુ સચોટ અને ચોક્કસ આંકડા સરકારના આર્થિક બ્લોક દ્વારા નક્કી કરવામાં આવશે. આ મૂલ્યાંકન પ્રક્રિયા હાલમાં વિવિધ તબક્કામાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં હુમલામાં ધરાશાયી થયેલી અથવા નુકસાન પામેલી ઈમારતો અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આકલન કરવામાં આવી રહ્યું છે. બીજા તબક્કા હેઠળ બજેટની આવકમાં થયેલ ઘટાડો અને ઔદ્યોગિક કેન્દ્રો બંધ થવાને કારણે થયેલા આર્થિક નુકસાનની ગણતરી કરવામાં આવશે.
સુશ્રી મોહાજેરાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઈરાનને થયેલા આ સૈન્ય નુકસાન માટે અમેરિકા પાસેથી વળતર મેળવવાનો મુદ્દો પણ ઘણો ગંભીર છે. ઈરાની વાટાઘાટકારોની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર અને ચર્ચાઓ દરમિયાન આ મુદ્દો અગ્રતાના ધોરણે ઉઠાવવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધ વિરામ વચ્ચે પાકિસ્તાનમાં શાંતિમંત્રણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કેટલાક મુદ્દાઓને પગલે શાંતિમંત્રણા નિષ્ફળ રહી હતી. હવે અમેરિકાના આગામી પગલા ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. બીજી તરફ રશિયા દ્વારા બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મૂડી પ્રવાહને વેગ આપવા માટે સરકારે 10,000 કરોડના ભંડોળને સૂચિત કર્યું

