તેલ અવીવ, 26 જૂન 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ ઉપર સહમતી થઈ છે. જો કે, બીજી તરફ ઈઝરાયલ પોતાની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની તૈયારીમાં નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર સૈન્ય કાર્યવાહી અંગે મોટું અને મક્કમ નિવેદન આપ્યું છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનાન, સીરિયા અને ગાઝા પટ્ટીમાં ‘જ્યાં સુધી જરૂરી લાગશે ત્યાં સુધી’ પોતાની મજબૂત હાજરી અને સૈન્ય અડ્ડાઓ જાળવી રાખશે.
અહેવાલો અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મહત્વપૂર્ણ જાહેરાત દક્ષિણ ઇઝરાયેલમાં આયોજિત લશ્કરી અધિકારીઓના એક ભવ્ય દીક્ષાંત સમારોહ દરમિયાન કરી હતી. નવા નિકળેલા સૈન્ય અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને સંબોધિત કરતા તેમણે ઇઝરાયેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકારની નીતિ સ્પષ્ટ કરી હતી.
નેતન્યાહુએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની સુરક્ષા અને નાગરિકોના રક્ષણ માટે સરહદો અને પડોશી વિસ્તારોમાં સેનાની હાજરી અનિવાર્ય છે. ખાસ કરીને હમાસના સંપૂર્ણ ખાતમા અને બંધકોની મુક્તિ સુધી સૈન્ય ત્યાં હાજર રહેશે. હિઝબુલ્લાહના આતંકી માળખાને તોડી પાડવા અને ઉત્તરી ઇઝરાયેલના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સેના કટીબદ્ધ છે. સીરિયાની ધરતી પરથી ઇઝરાયેલ વિરુદ્ધ થઈ રહેલી ઈરાની પ્રવૃત્તિઓ અને હથિયારોની સપ્લાય લાઇનને રોકવા માટે ઇઝરાયેલી સૈન્ય મોરચો સંભાળી રાખશે.
રાજકીય વિશ્લેષકોના મતે, નેતન્યાહુના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયેલ હાલમાં આ ત્રણેય મહત્વપૂર્ણ મોરચેથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાના મૂડમાં નથી. આ જાહેરાત બાદ આગામી દિવસોમાં મિડલ ઈસ્ટના દેશો વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

