Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ઝેલમ નદીમાં હોડી પલટી ખાતા છ વ્યક્તિના મોત

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર નજીક મંગળવારે જેલમ નદીમાં પ્રવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ ડુબવાની ઘટના બની હતી. જેના પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે હજુ 3 બાળકો ગુમ હોવાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે.

આ મામલાના સંદર્ભમાં, શ્રીનગરના જિલ્લા પ્રશાસને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે, જ્યાં આ ઘટના બની હતી તે ગાંડાબલ નૌગામ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે ચાલુ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ઝેલમ નદીમાં બોટ પલટી જતાં એસડીઆરએફની ટીમ સ્થળ પર તૈનાત છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હોડીમાં ક્ષમતા કરતા પ્રવાસીઓ બેસાડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઝેલમ નદીમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્યપાલ મનોજ સિંહાએ દુખ વ્યક્ત કર્યું હતું હતું. આ ઉપરાંત ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતી, ભાજપાના પ્રવક્તા અલ્તાફ ઠાકુર સહિતના રાજકીય આગેવાનોએ સમગ્ર ઘટના અંગે દુખ વ્યક્ત કરીને પુરતી મદદ કરવાની ખાતરી આપી હતી.

ઉત્તર કાશ્મીરના કુપવાડામાં વાતાવરણને ધ્યાનમાં રાખીને ધો-8 સુધીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રતિકુલ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુપવાડા જિલ્લામાં ધો-8 સુધીની શૈક્ષણિક સંસ્થાઓ મંગળવારના રોજ બંધ રહેશે.