Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ક્રાલપોરા ખાતેના તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી.અધિકારીઓએ જણાવ્યું કે ડારને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.

કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકવાદી હુમલો છે. રવિવારે શ્રીનગરમાં એક આતંકવાદીએ પોલીસ અધિકારી પર ગોળી મારીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ દરમિયાન સોમવારે પુલવામા જિલ્લામાં ઉત્તર પ્રદેશના એક મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

કાશ્મીર ઝોન પોલીસે તેના અધિકારી દ્વારા જણાવ્યું હતું અમે શહીદને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આ મુશ્કેલ સમયે તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સોમવારે (30 ઓક્ટોબર) આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં ઉત્તર પ્રદેશના મુકેશ કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુકેશ મજૂરી કામ કરતો હતો. મુકેશ પુલવામાના તુચી નૌપોરામાં શાકભાજી ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો.

અહેવાલ મુજબ,અધિકારીઓએ કહ્યું હતું કે મુકેશ વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને ગોળી વાગ્યા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે ખતરો હજુ પણ છે અને આપણે સતર્ક રહેવું પડશે.