Site icon Revoi.in

અમદાવાદના બોપલમાં આઝાદી અમૃત મહોત્સવના ઉપક્રમે કળશ યાત્રા યોજાઈ

Social Share

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “અમૃત કળશ યાત્રા” યોજાઈ હતી. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા એક બાદ એક પડાવ પસાર કરતી બોપલની ઇન્ડીયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી એવા  ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં “માટીને નમન- વીરોને વંદન” નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જેને પગલે સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી એવા  ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ વિભાગોમાંથી આવેલી આ માટી દિલ્હી સ્થિત “અમૃત વાટિકા”માં પધરાવવામાં આવશે. સાથોસાથ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હાજર સૌ નાગરિકોએ વડાપ્રધાન દ્વારા સૂચિત “પંચ પ્રણ” લીધા હતા.

કળશ યાત્રા સમારોહમાં અમદાવાદ શહેરના ધારાસભ્ય  અમિત શાહ,  દિનેશસિંહ કુશવાહ,  જીતુભાઇ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડે.મેયર  જતીન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  દેવાંગ દાણી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા  ગૌરાંગ પ્રજાપતિ, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શીતલ ડાગા સહિતના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.