Site icon Revoi.in

કોરોના મહામારી દરમિયાન 68 ટકા લોકોની વ્યક્તિગત બચત ઘટી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી દરમિયાન લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન નોકરીમાંથી છટણી, પગાર ઘટાડો કે પગાર મળવામાં થયેલા વિલંબને કારણે લોકોની બચત ઘટી ગઇ છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા અર્ધવાર્ષિક મૂડ ઑફ ધ કન્ઝ્યુમર સર્વે અનુસાર મહામારીના આશરે 9 મહિના દરમિયાન લોકોની વ્યક્તિગત બચતમાં ભારે ઘટાડો થયો છે. સર્વેમાં આવરી લેવાયેલા 68 ટકા લોકોએ કહ્યું હતું કે મહામારી દરમિયાન છેલ્લાં 8 મહિનામાં તેમની બચત ઘટી છે.

જો કે આશરે 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે આગામી 4 મહિનામાં તે ડિસ્ક્રિશનરી ઉત્પાદન તેમજ સંપત્તિ ખરીદવા માંગે છે. 10 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી 4 માસમાં ડિસ્ક્રિશનરી ખરીદી પર 50,000 રૂપિયાથી વધુ ખર્ચ કરવા ઇચ્છે છે. આ ઘણા સેક્ટરો માટે શુભ સંકેત છે.

છેલ્લા 3-4 મહિનાથી દેશમાં અનલોકની પ્રવૃતિ બાદ આર્થિક ગતિવિધિઓ સહિતની ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરીને કારણે આશાનો માહોલ છે. ગત વર્ષની સરખામણીએ આ કારોબારી વર્ષમાં આવક ઘટવાની આશંકા વ્યક્ત કરનાર પરિવારોમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે ભવિષ્યને લઇને અનિશ્વિતતા ઘટી છે. આ સર્વે દેશનાં 302 જીલ્લાઓમાં 44,000 લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં 62 ટકા પુરુષ અને 38 ટકા મહિલાઓ હતી.

(સંકેત)