Site icon Revoi.in

નવરાત્રીના ગરબામાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરના ખલેલની પોલીસ ફરિયાદ કરી શકાશે

Social Share

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રીમાં ખેલૈયોઓ મોડીરાત સુધી ગરબે રમી રહ્યા છે. દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા બેરોકટોક વિના યોજી શકાશે, પોલીસ રાતના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી શકશે નહીં. એવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરતા તેનો વિરોધ પણ થયો હતો. એક જાગૃત નાગરિકે હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ એક અરજી દાખલ કરી હતી. જેમાં અરજદારે એવી રજુઆત કરી હતી કે, મેં મેઇલ દ્વારા હાઇકોર્ટમાં ત્રણ ફરિયાદ કરી છે. ધ્વનિ પ્રદૂષણ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ગરબા માટે છૂટ આપવા પોલીસને મૌખિક સૂચના આપી છે, આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો સીધો કેસ છે. જેના પર હાઈકાર્ટે જણાવ્યું છે. કે, કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમી શકાશે અને પોલીસ કોઇને રોકશે નહીં એ પ્રકારની મૌખીક જાહેરાત કરવામાં આવ્યા બાદ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઇને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે કહ્યુ હતું કે,  રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વાગશે અને કોઇ નાગરિક પોલીસને ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રીના નિવેદનનો વિવાદ  ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો હોવા છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહમંત્રી સુચના આપી શકે નહીં. મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાન થવાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક બાર વાગ્યા પછી વાગતા લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ હુકમો પસાર થયા તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. 12 વાગ્યા બાદ સ્પીકરના કારણે થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અગાઉ નિર્દેશો અપાયેલા હોવાની બાબત કોર્ટે સ્પષ્ટતા કરી છે. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે.

અત્ર્ ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.