Site icon Revoi.in

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ એક્શનમાં,આપ્યા આ નિર્દેશ

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો.મોહન યાદવે સોમવારે મોડી રાત્રે હમીદિયા હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓને દવાઓ અને વધુ સારી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો. સીએમ યાદવ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલ દ્વારા દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અને દવાઓ વિશે માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ આયુષ્માન કાર્ડ અને આ યોજનાના લાભો વિશે પણ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીના ઓચિંતા નિરીક્ષણ દરમિયાન અધિક મુખ્ય સચિવ આરોગ્ય મોહમ્મદ સુલેમાન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ રાઘવેન્દ્ર સિંહ અને વરિષ્ઠ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ હાજર હતો.

મુખ્યમંત્રીએ હોસ્પિટલના SNCU અને MNU વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઓપીડીનું પણ નિરીક્ષણ કર્યું હતું. CMએ કહ્યું કે હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ જાળવવી જોઈએ જેથી દર્દીઓને સારવાર દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી સારવારની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ. સીએમ યાદવે દર્દીઓના પરિવારજનો સાથે હોસ્પિટલ પરિસરમાં વિવિધ વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

સીએમ મોહન યાદવે હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને મશીનોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેણે આ અંગે તબીબો પાસેથી માહિતી પણ મેળવી હતી. મુખ્યમંત્રીએ પ્રિટરમ ઇન્ફન્ટ ઇન્ટેન્સિવ કેર યુનિટનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં દાખલ મહિલા દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. તેણે નવજાત શિશુઓ પણ જોયા. આ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોએ પણ તેમની સમસ્યાઓ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી હતી જેના તાત્કાલિક ઉકેલની ખાતરી આપી હતી.