Site icon Revoi.in

ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર મોટાપાયે ભરતી કરાશે, ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવાયું

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં  કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી સંખ્યામાં નવી ભરતી કરવામાં આવતી નથી. આ સીલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હોવાથી સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભરી દેવા માટે સકરાક વિચારી રહી છે. એટલે હાલ જુદા જુદા સરકારી વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે, તેનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. અને આગામી સમયમાં મોટાપાયે ભરતી કરવાનું આયોજન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયના ત્રીજા વર્ગના સરકારી કર્મચારીઓની ભરતી પરીક્ષાના નવા નિયમો બહાર પાડયા બાદ ચાલુ વર્ષે 6 હજાર જેટલી કલાર્ક, હેડ કલાર્ક સંવર્ગની સરકાર મોટાપાયે ભરતી થવા જઈ રહી છે. મહેસુલી તંત્ર, જિલ્લા કલેકટર વગેરે માટે સપ્ટેમ્બર મહિનામાં ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત થનારી આ ભરતી માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. તે ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ એસટી નિગમ દ્વારા 3500 જેટલા ડ્રાઈવર-કંડકટર અને મિકેનીકની પણ ભરતી કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં પેપર લીક અને ગેરરીતિ પછી તાજેતરમાં માંડ શરૂ થયેલી સરકારી ભરતી પરીક્ષાઓ સફળ રીતે લેવાયા બાદ હવે નવા નિયમોના અમલ સાથે  ભરતીની યોજના આગળ વધારાશે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોને ફાયદો થશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલ મહિનામાં વિવિધ વિભાગો પાસે કલાર્ક સંવર્ગ અને ઓફીસ આસીસ્ટન્ટ અંગે ખાલી જગ્યાની માહીતી માંગવામાં આવી હતી. જે મે મહિનામાં મોકલવા જણાવાયું હતું. આ માટેની પ્રિલીમ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાનું આયોજન છે.,જેમાં જે ઉમેદવારો પાસ થશે તેમની મુખ્ય પરીક્ષા લેવાશે.મહેસુલ  વિભાગમાં હેડ કલાર્ક, જુનિયર કલાર્ક, અને કલાર્કની જગ્યાઓ પણ તેમાં ભરાશે. અન્ય વિભાગોમાં પણ જરૂરીયાત મુજબ આગામી સમયમાં ભરતી કરવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ વર્ષ 2023-24 માં એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની 2100, કંડકટરની 1300 અને મિકેનીક પરીક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે આ માટે ટુંક સમયમાં જાહેરાત કરાશે.