જયપુર, 16 જાન્યુઆરી, 2026: Muslim women are expected to remain silent જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF) 2026ના મંચ પરથી પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ‘ વિજેતા અને કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે પોતાના જીવન અને સંઘર્ષની કથા રજૂ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે એક મુસ્લિમ મહિલા લેખિકા તરીકે તેમનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી. સમાજ અને સત્તાના માળખા હંમેશા સ્ત્રીઓ પાસેથી મૌન અને આજ્ઞાપાલનની અપેક્ષા રાખે છે, પરંતુ તેમણે આજીવન આ મૌનને તોડવાનું અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કાર્ય કર્યું છે.
લાંબી છરી વડે હુમલાનો પ્રયાસ થયો હતો
બાનુ મુશ્તાકે તેમના સંબોધનમાં ભૂતકાળની હૃદયદ્રાવક ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમની નીડરતાને કારણે તેમને ભારે કિંમત ચૂકવવી પડી છે. તેમણે એક એવી ઘટના યાદ કરી જ્યારે તેમના પર લાંબી છરી (Long knife) વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. આ હુમલામાં તેઓ માંડ બચ્યા હતા, પરંતુ તેમની હિંમત ડગી નહોતી.
તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો ઉછેર 1970ના દાયકાના સામાજિક આંદોલનોની વચ્ચે થયો છે. લોકશાહી મૂલ્યો બચાવવા માટે તેઓ લાઠીચાર્જમાં ઘાયલ થયા છે અને જેલની સજા પણ ભોગવી છે, જેણે તેમને વધુ મક્કમ બનાવ્યા છે.
ચોક્કસ સમુદાયની નારાજગી
તાજેતરના વિવાદ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, જ્યારે તેમના પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ (Heart Lamp) માટે તેમને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું અને કર્ણાટક સરકારે તેમને મૈસુર દશેરા ઉત્સવના ઉદ્દઘાટન માટે આમંત્રિત કર્યા, ત્યારે મોટો હોબાળો મચી ગયો હતો. કેટલાક સંગઠનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર દોઢ મહિના સુધી તેમને માનસિક રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે વિરોધ કરનારાઓની અરજી ફગાવી દઈને મુશ્તાકના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આખરે ચુસ્ત સુરક્ષા વચ્ચે તેમણે આ ઐતિહાસિક ઉત્સવનું ઉદ્દઘાટન કરીને પરિવર્તનનો સંદેશ આપ્યો હતો.
છતાં મક્કમ મનોબળ
પોતાના લેખન વિશે વાત કરતા મુશ્તાકે કહ્યું કે, તેમનાં પુસ્તકો માત્ર વાર્તાઓ નથી પરંતુ દક્ષિણ કર્ણાટકના મુસ્લિમ સમુદાય અને ખાસ કરીને મહિલાઓના વાસ્તવિક સંઘર્ષનો અરીસો છે. તેમના મતે, સાહિત્યમાં સત્ય કહેવાનું મહત્ત્વ સૌથી વધુ છે, ભલે તે માટે ગમે તેટલા વિરોધનો સામનો કરવો પડે. આ પ્રવચન દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ તેમની હિંમતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

