Site icon Revoi.in

ખેડૂત નેતાઓ સાથે સરકારની આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર ખાતરી આપવા તૈયાર

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂએ કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર શનિવારની બેઠક દરમિયાન પણ તેઓની વાત નથી માનતી તો તેઓ નવા કૃષિ કાયદા વિરુદ્વ તેમના આંદોલનને વધારે તેજ કરશે. ભારતય કિસાન યૂનિયનના મહાસચિવ હરિન્દરસિંહ લખવાલે કહ્યું કે આજની અમારી બેઠકમાં અમે 8મી ડિસેમ્બરના રોજ ભારત બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અમે તમામ ટોલ બૂથો પર કબજો કરી લઇશું.

આજે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરીથી મંત્રણા થશે ત્યારે મંત્રણા પહેલા જ સરકારે જાહેરાત કરી છે કે સરકાર MSP અંગે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવા માટે તૈયાર છે.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કિસાન યૂનિયનો તરફથી કરવામાં આવેલી માંગણીઓ પર વાતચીત ચાલી રહી છે. સાથે જ સરકારે આજે યોજાનાર બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકની પૂર્વ સંધ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ખેડૂત નેતાઓએ 8મી ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, નવા કૃષિ કાયદા વિરુદ્વ દિલ્હી સરહદે ખેડૂતો છેલ્લા 9 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ હાજર રહ્યા હતા. અહીં ખેડૂત નેતાઓએ પોતાની માંગણીનો ફરીથી ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કૃષિ બિલને રદ કરવા માટે વિશેષ સત્ર બોલાવે.

(સંકેત)