Site icon Revoi.in

ભારત માટે 2025 પહેલા કોરોના અગાઉનો વૃદ્વિદર હાંસલ કરવો પડકારજનક: ગીતા ગોપીનાથ

Social Share

નવી દિલ્હી: ભારતના વિકાસ દરને લઇને IMFના ચીફ ઇકોનોમિસ્ટે નિવેદન આપ્યું છે. IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, ભારત માટે વર્ષ 2025 પહેલા કોરોના અગાઉનો વિકાસ દર હાંસલ કરવો પડકારજનક છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અનેક દેશોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. આગામી મહિને રજૂ થનારા બજેટમાં ભારતના નાણા મંત્રીએ હાલ ચાલી રહેલી કટોકટીને પહોંચી વળવા ઉપરાંત ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી રિકવરી પ્રાપ્ત કરી શકાય તેવા પગલાં ભરવા પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોપીનાથે જણાવ્યું હતું કે સરકારને હાલની સ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવાની જરૂર છે અને તેની સાથે ડિસઇન્વેસ્ટમેન્ટ્સ માટે પણ વિશ્વાસપાત્ર રસ્તો શોધવો પડશે.

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે કૃષિ સુધારાના કાયદાનો અમલ અટવાઈ જવા પર પોતાનો મત વ્યક્ત કરતા ગોપીનાથે કહ્યું હતું કે સુધારા કરવા હંમેશા મુશ્કેલ હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આજે નહીં તો કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે ચોક્કસ કોઈ સમાધાન થશે.

તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે નવા વિકલ્પો ઉભા કરીને તેમની આવકમાં વધારો કરી શકાય છે. જોકે, દરેક કાયદાનો અમલ કઈ રીતે થાય છે તે કાળજીપૂર્વક જોવાનું રહે છે. તેના કારણે જો કોઈને નુક્સાન થતું હોય તો તેના પર પણ બારીકાઈથી નજર રાખવી પડે છે, તેમાંય ખાસ કરીને જો તેમાં ખેડૂતો સંકળાયેલા હોય.

કોરોનાની રસીકરણની ધીમી ગતિ અને તેને લઈને ઉભા થઈ રહેલા સવાલો પર ચિંતા વ્યક્ત કરતા ગોપીનાથે જણાવ્યું હતું કે, લગભગ દરેક દેશોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. વળી, વાયરસના એક પછી એક આવી રહેલા નવા વેરિયન્ટ્સ પણ ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, ભારતના કિસ્સામાં ફાઈનાન્શ્યિલ સિસ્ટમમાં રહેલી નબળાઈ પણ ચિંતાનો વિષય છે.

ભારત સહિત દુનિયાભરના દેશોએ કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા ઘણા પગલાં લીદધા છે, જેના કારણે ફાઈનાન્શિયલ સિસ્ટમમાં ક્રાઈસિસ ઉભી થઈ છે. જો આરબીઆઈના અનુમાન અનુસાર NPAમાં વધારો થયો તો બેંક તેમજ NBFCsના પર્ફોમન્સ પર તેની સીધી અસર જોવા મળશે.

(સંકેત)