Site icon Revoi.in

ગામની પાણીની સમસ્યા હલ કરવા 19 વર્ષની યુવતીની પ્રશંસનીય કામગીરી, PM મોદીએ પણ કામની નોંધ લીધી

Social Share

નવી દિલ્હી: વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં એક 19 વર્ષની યુવતીએ એક નોંધપાત્ર કામ કર્યું છે, જેની નોંધ ખુદ પીએમ મોદીએ લેતા પોતાના મન કી બાત કાર્યક્રમમાં તેના કામની સરાહના કરી છે. બબીતાની પ્રેરણાથી બુંદેલખંડ ક્ષેત્રમાં છતરપુરના ભેલ્દા ગામની મહિલાઓએ પહાડ કાપીને તળાવને નહેર સાથે છોડી દીધું. હવે તેમના ગામમાં તળાવમાં પાણી ભરાવવા લાગતા પાણીની સમસ્યા હલ થઇ ચૂકી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ત્યાંની મહિલાઓએ પરમાર્થ સમાજ સેવી સંસ્થાનના સહયોગથી લગભગ 102 મીટર લાંબા પહાડને કાપીને એક એવો રસ્તો બનાવ્યો છે, જેનાથી તેમના ગામના તળાવમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. સૂકા થઇ ગયેલા કૂવામાં હવે પાણી આવી ગયું છે.

તે ઉપરાંત 11 તળાવોનો પુનરોદ્ધાર થઈ ચૂક્યો છે. સૌથી મોટી વાત એ છે કે, આ તળાવ ભરાવાથી સૂકાઈ ગયેલી બછેડી નદીમાં ફરી એક વખત પાણી વહેતું થવાની આશા ઉભી થઈ છે. બછેડી નદીનું ઉદગમ સ્થળ અંગરોઠા છે. બછેડીમાં માત્ર વરસાદી પાણી આવે છે. આશા રાખવામાં આવી રહી છે કે, તે હવે આખું વર્ષ ભરેલી રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’માં કહ્યું કે, ‘બબીતા રાજપૂતનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક મોટું તળાવ હતું. જે સુકાઈ ગયું હતું. તેમણે ગામની જ બીજી મહિલાઓની મદદ લીધી અને તળાવ સુધી પાણી લાવવા માટે એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં આવવા લાગ્યું અને હવે આ તળાવ પાણીથી ભરેલું રહે છે. અગરોઠા ગામની બબીતા જે કરી રહી છે, તેનાથી તમને બધાન પ્રેરણા મળશે.’ વડાપ્રધાને કહ્યું કે, જળ સંરક્ષણ સામૂહિક જવાબદારી છે અને તેને દેશના બધા નાગરિકોએ સમજવું પડશે.

બબીતાના ગામમાં વરસાદનું પાણી પહેલા પહાડો પરથી વહીને નીકળી જતું હતું. તેના પગલે 40 એકરમાં બનેલા તળાવમાં વરસાદનું પાણી પહોંચતું ન હતું. બબીતાએ ગામની મહિલાઓનો સાથ લીધો અને વન વિભાગની સાથે મળીને 107 મીટરનો પહાડ કાપ્યો. હવે આ તળાવમાં પાણી ભરેલું રહે છે અને સુકાયેલા કૂવામાં પણ પાણી આવી ચૂક્યું છે.

(સંકેત)