Site icon Revoi.in

ગૌતમ ગંભીરે જન રસોઇ કેન્ટિન ખુલ્લી મૂકી, માત્ર 1 રૂપિયામાં જરૂરિયાતમંદોને મળશે ભોજન

Social Share

નવી દિલ્હી: ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગાંધી નગરમાં જન રસોઇ કેન્ટિનને ખુલ્લી મૂકી હતી. આ કેન્ટિનમાં જરૂરિયાતમંદોને ફક્ત 1 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે. ગંભીર ઇસ્ટ દિલ્હીથી સાંસદ છે અને તે પોતાના મત વિસ્તારના 10 વિધાનસભા મતદારક્ષેત્રોમાં એક-એક આવી કેન્ટિન ખોલવા ઇચ્છુક છે.

ઇસ્ટ દિલ્હીમાં ગાંધી નગર સ્થિત છે અને તે રેડીમેડ ગાર્મેન્ટ્સનું એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. આ કેન્ટિનનો હેતુ ગરીબોને પૌષ્ટિક અને શુદ્વ ભોજન પૂરું પાડવાનો છે જેના કારણે કોઇપણ ગરીબ પોષણથી વંચિત ના રહી જાય. આ કેન્ટિન ગાંધી નગરમાં કૈલાશ કોલોના બસ સ્ટોપ નજીક છે. તે દરરોજ સવારે 11.30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ કેન્ટીન અંગે ગંભીરે જણાવ્યું હતું કે હું હમેશા માનતો આવ્યો છું કે પ્રત્યેક વ્યક્તિને પૌષ્ટિક અને હાઇજેનિક ભોજન મેળવાવનો હક છે ભલે તે કોઇપણ જાતિ, ધર્મ કે ગમે તેવી આર્થિક પરિસ્થિતિ જ કેમ ના ધરાવતો હોય. આ પીએમ મોદીના અભિયાનનો જ ભાગ માને છે કે દેશમાં કોઇ વ્યક્તિ ભૂખ્યો ના રહેવો જોઇએ.

તેણે વધુમાં ઉમેર્યું હતું કે ઘણા બધા રાજ્યોની સરકાર ગરીબોને આવી રીતે ભોજન પૂરું પાડે છે અને દેશની રાજધાનીમાં આવી કોઇ સુવિધા નથી તે ઘણી શરમજનક વાત છે. હું ઇચ્છું કે દિલ્હીમાં પણ પ્રત્યેક વ્યક્તિને પૌષ્ટિક ભોજન અને શુદ્વ પાણી મળવું જોઇએ. મારું આ સ્વપ્ન સાકાર નહીં થાય ત્યાં સુધી હું કામ કરતો રહીશ.

નોંધનીય છે કે, આ કેન્ટીન 3,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે અને એક સમયે 100 લોકો કેન્ટીનમાં ભોજન કરી શકશે. કેન્ટીનના દરવાજા પર કૂપન મળશે અને આ કૂપન દ્વારા ભોજન આપવામાં આવશે. કોવિડ-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે અને એક સાથે 50થી વધુ વ્યક્તિઓને બેસવા દેવામાં આવશે નહીં.

(સંકેત)