Site icon Revoi.in

નવા કૃષિ કાયદા પર રિલાયન્સે કરી સ્પષ્ટતા, અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ નહીં કરીએ કે કોઇની જમીન પણ નહીં લઇએ

Social Share

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નથી કે કોઇની જમીન પણ આંચકી લેવાના નથી. આ રીતે નવા કૃષિ કાયદા અંગે કંપનીએ પતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

નવા કૃષિ કાયદા સામે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનના સંદર્ભમાં રિલાયન્સે આ સ્પષ્ટતા કરી છે. તે ઉપરાંત પંજાબ અને હરિયાણામાં રિલાયન્સની સ્થાવર સંપત્તિની થયેલી તોડફોડ અંગે કંપનીએ હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી અને આ પ્રકારની તોડફોડ રોકવાની વિનંતી કરી હતી.

રિલાયન્સે વલણ સ્પષ્ટ કરતાં કેટલાક વિગતવાર ખુલાસાઓ પણ કર્યા હતા. જેમ કે રિલાયન્સે કદી કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કર્યું નથી અને ભવિષ્યમાં કરવાની કોઇ યોજના નથી. પંજાબ કે હરિયાણા જ નહીં, દેશના કોઇપણ વિસ્તારમાં કોઇ ખેડૂતોની જમીન લેવાની અમારી યોજના નથી. રિલાયન્સના રિટેલ સ્ટોર્સમાં વેચાતા અનાજ, શાકભાજી, કઠોળ અને અન્ય ચીજો રિલાયન્સ કદી ખેડૂતો પાસેથી ખરીદતી નથી. રોજિંદા વપરાશની તમામ વસ્તુઓ સ્વતંત્ર ઉત્પાદકો તેમજ સપ્લાયર્સ તરફથી કંપનીઓને પૂરી પાડવામાં આવે છે.

કંપનીએ વધુમાં કહ્યું હતું કે કંપનીએ ક્યારેય ખેડૂતોનો ગેરલાભ લેવા માટે કોઇની સાથે કરાર કર્યા નથી કે કરવાની પણ નથી. અમે અમારા સપ્લાયર્સને પણ એવું કહ્યું નથી કે ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદીને અમને માલ આપો. રિલાયન્સ ખેડૂતોને ધરતીના તાત અને અન્નદાતા ગણે છે.

નોંધનીય છે કે, રિલાયન્સ પોતાના સપ્લાયર્સને સરકારે ઘડેલા નિયમોનું પાલન કરવાની તેમજ ટેકાના લઘુતમ ભાવને વળગી રહેવાની તાકીદ કરે છે. દેશના કોઇપણ ખેડૂતને એક પૈસાનું પણ નુકસાન થાય તેવું પગલું રિલાયન્સ ક્યારેય નહીં ભરે.

(સંકેત)