- દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી
- દિલ્હી આપણી રાજધાની છે, કલ્પના કરો કે તમે વિશ્વને શું સંદેશ આપી રહ્યાં છો
- વાયુ પ્રદૂષણ રોકવા માટે સખ્ત પગલા લેવા જોઇએ
નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની બરોબરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી કે, દિલ્હી આપણી રાજધાની છે જેથી કલ્પના કરો કે તમે વિશ્વને શું સંદેશ આપી રહ્યાં છો.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમમાં આજે ફરીથી સુનાવણી થઇ હતી. તેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે અનેક અરજીઓ મળી છે. એક શ્રમિક સંગઠનની માગ છે કે તેમનું કામ જલ્દીથી શરૂ થાય સાથે જ ખેડૂતોએ પણ પરાલીને લઇને પ્રતિબંધ હટાવાની માગ કરી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, 16 નવેમ્બરે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 403 હતો તે હવે ઘટીને 290 પર પહોંચી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવાને કારણે 26 નવેમ્બરે સ્થિતિમાં સુધાર આવશે. આ મામલે કોર્ટે કહ્યું કે, પ્રદૂષણથી લડવા માટે વૈજ્ઞાનિક તૈયારીઓ પણ હોવી જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી કે, વાતાવરણ ખરાબ ના થાય તે માટે ઉપાય લાવવા જોઇએ. સાથે જ વાયુ પ્રદૂષણ રોકવા માટે પણ ઉપાય થવા જોઇએ. દિલ્હી આપણા દેશની રાજધાની છે. જેથી એ વિચારો કે આપણે વિશ્વને શું સંદેશ આપી રહ્યા છે.
કોર્ટે કેન્દ્રને વેધક સવાલો કર્યા હતા કે, હવાના વહેણને કારણે આપણે બધા બચી ગયો. પરંતુ તમે શું કર્યું. તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, વાયુ પ્રદૂષણ હવે ઘટ્યું છે. સાથે જ તુષાર મહેતાએ કહ્યું કે, તેઓ 3 દિવસ બાદ ફરીથી મોનિટરિંગ કરશે.
સમગ્ર મામલે સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું છે કે, પ્રદૂષણ ઓછું કરવા માટે સરકારે પબ્લીક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપ્યું છે. સાથે જ 15 વર્ષ કરતા જૂના વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે તેની સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે.