Site icon Revoi.in

સુરેન્દ્રનગરના ST બસ ડેપોમાં પીવાના પાણીની સુવિધા નથી, ગરમીમાં પંખા વિના શેકાતા પ્રવાસીઓ

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં એસટી નિગમ દ્વારા મહાનગરોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદ્યત્તન એરપોર્ટ જેવા બસ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ  નાના શહેરોમાં તો ઘણાબધા એસટી બસ સ્ટેન્ડ એવા છે. કે, પ્રવાસીઓ માટે પુરતી સુવિધા પણ નથી. જેમાં સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા પણ નથી. અસહ્ય ગરમીમાં પ્રવાસીઓને પાણી લેવા બસસ્ટેન્ડની બહાર જવું પડે છે. બસસ્ટેન્ડમાં પાણીની પરબ તો બનાવમાં આવી છે, પણ પાણી જ નથી.

સુરેન્દ્રનગર  એસટી ડેપોમાં દૈનિક અંદાજે 10,000 પ્રવાસીઓ આવ-જા કરે છે. પરંતુ આ ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણી  સુવિધા નથી.પ્રવાસીઓએ બસ સ્ટેન્ડની બહાર જઈને પીવાના પાણી માટે બોટલ ખરીદવાની ફરજ પડી રહી છે.  સુરેન્દ્રનગરમાં ઉનાળાની સિઝન સાથે હવે 40થી વધુ તાપમાન પણ નોંધાઇ રહ્યુ છે. તો બીજી તરફ શહેરના એસટી ડેપોમાં જિલ્લા તેમજ જિલ્લા બહારના દૈનિક અંદાજે 10,000 મુસાફરો આવે છે. પરંતુ આ બસ સ્ટેશનમાં પાણીનો ટાકો, નળ સહિતની સુવિધા હોવા છતા લોકોને પાણી મળતુ નથી.ગરમીના કારણે મુસાફરો સાથે રહેલા બાળકો અને વૃદ્ધોને પણ પાણી પાવા માટે પૈસા ખર્ચવા પડે છે.

સુરેન્દ્રનગર એ જિલ્લાનું મુખ્ય મથક છે. એસટી બસ સ્ટેન્ડમાં પ્રવાસીઓ માટેની કોઈ જ સુવિધા નથી. પુરતા પંખા પણ નથી બપોરના સમયે તો પ્રવાસીઓની હાલત વધુ કફોડી બનતી હોય છે. બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓ  માટે પીવાના પાણી માટે કોઇ વ્યવસ્થા જ નથી. અને જે છે તેમાંય પાણી નથી. આથી પ્રવાસીઓને ધ્યાને લઇને આવા સમયે પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. પ્રવાસીઓ કહી ર્હાય છે કે, અમારે એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ નથી જોઈતું પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ય ઘણું છે. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર ઇન્દ્રવદન જે. નાયીએ જણાવ્યું કે, હાલ નવા બસસ્ટેશનની કામગીરી ચાલુ છે. પાણીની પરબ અને ટાંકાની સફાઇ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે.