Site icon Revoi.in

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શો માટે હવે લેવી પડશે ઓનલાઈન ટિકિટ

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. માત્ર અમદાવાદ જ નહીં, આ આકર્ષણ જોવા માટે શહેરની બહારના લોકો પણ આવતા હોય છે. પરંતુ આ વર્ષે પહેલીવાર એવુ બનશે કે, ફ્લાવર શૉની ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે. ફ્લાવર શૉમાં તમે કયા દિવસે અને કયા સમયે જવા માંગો છો તે અનુસાર પહેલાથી ટિકિટ બુક કરાવવાની રહશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર  ફ્લાવર શૉ 8મી જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાશે. આ વર્ષે ટિકિટ બારી નહીં હોય, ઓનલાઈન જ ટિકિટ લેવાની રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે.  એક સમયે ફ્લાવર શૉમાં 400 જ લોકોને પ્રવેશ આપવામાં આવશે, તેઓ એક કલાક સુધી અંદર રહી શકશે. એક કલાક માટે 400 ટિકિટ બુક થઈ જશે તો બુકિંગ બંધ થઈ જશે. મુલાકાતીઓ એડવાન્સમાં ટિકિટ બુક કરાવી શકશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફ્લાવર શૉનો લ્હાવો આઠ લાખ મુલાકાતીઓએ લીધો હતો. એએમસીના અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ઓનલાઈન બુકિંગ હોવાને કારણે મુલાકાતીઓ સંખ્યા ઘટી શકે છે. અમારો અંદાજ છે કે 50,000થી 1.2 લાખની વચ્ચે લોકો આવી શકે છે. સામાન્ય પણે જેટલા લોકો આવતા હોય છે તેના 10 ટકા જ આવી શકે છે. ફ્લાવર શૉ 60,000 વર્ગમીટર વિસ્તારમાં ફેલાયેલો હોય છે. એએમસી દ્વારા આ સ્થળ પર વોલ્યુન્ટર્સ તૈનાત કરવામાં આવશે, જે લોકોને એક કલાકમાં બહાર નીકાળવાનુ કામ કરશે.

ઉલ્લેખનીય છે કે ફ્લાવર શૉ પછી સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે અને આ વર્ષે તેમાં પણ કડક કાયદા અમલમાં મૂકવાની ચર્ચા થઈ રહી છે. કાઈટ ફેસ્ટિવલમાં પણ દર વર્ષની સરખામણીમાં માત્ર 25 ટકા લોકો જ આવે તેવી શક્યતા છે. (file photo)