Site icon Revoi.in

અમારા અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે, જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં હિન્દુ પક્ષની રજૂઆત

Social Share

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે લોકલ કોર્ટના અદાલત સામે મુસ્લિમ પક્ષની અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં હિન્દુ પક્ષે રજૂઆત કરી હતી કે, અમારા અધિકારોનું સતત હનન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન હાઈકોર્ટે સર્વેની કામગીરીને લઈને કેટલાક સવાલો પણ કર્યાં હતા.

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઈ સર્વેને લઈને સ્થાનિક અદાલતે આદેશ કર્યો હતો. તેમજ તા. 4 ઓગસ્ટ સુધી રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. બે દિવસ પહેલા જ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખટાવ્યાં હતા. જેથી સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા નિર્દેશ કરવાની સાથે સર્વેની કામગીરી ઉપર તા. 26મી જુલાઈ સુધી સ્ટે આપ્યો હતો. મુસ્લિમ પક્ષ દ્વારા સમગ્ર મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ રજૂઆત કરાઈ હતી કે, કોર્ટનો આદેશ મળે તે પહેલા જ મસ્જિદમાં સર્વેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષની અરજીની સુનાવણીમાં હિન્દુ અરજદારોએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, સર્વેની કામગીરીથી મસ્જિદને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. સર્વેની કામગીરીમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં. કાર્બન ડેટિંગ અને રડાર ટેકનોલોજીની મદદથી સર્વેની કામગીરી કરવામાં આવશે. સર્વેની કામગીરી થવા દેવી જોઈએ, સર્વેનો રિપોર્ટ ગ્રાહ્ય રાખવો કે નહીં તે કોર્ટ નક્કી કરશે. આ અરજીની સુનાવણીમાં એએસઆઈએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ આવા સર્વે કર્યાં છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કેટલાક સર્વેની કામગીરીને લઈને કેટલાક સવાલો કર્યાં હતા. હાલ અલ્હાબાદ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષની અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે.