Site icon Revoi.in

કોરોના કાળમાં તબીબોએ 1800 કરોડ ખંખેરી લીધાના યોગેશ પટેલના આક્ષેપ સામે તબીબોમાં રોષ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી યોગેશ પટેલે કોરોનાના કાળ દરમિયાન ડોક્ટરોએ દર્દીઓ પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા હોવાની કરેલી ટિપણીનો તબીબી આલમે વિરોધ કર્યો છે. મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા યોગેશ પટેલના નિવેદન મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો કરીને તબીબ અને દર્દી વચ્ચેના સમન્વયને તોડવાનો પ્રયાસ ગણાવ્યો છે.

રાજ્યના પૂર્વ મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા કરાયેલા આરોપો સામે આઇએમએની ગુજરાત બ્રાન્ચ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. યોગેશ પટેલના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા. અત્રે નોંધનીય છે કે, યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સમગ્ર રાજ્ય અને દેશ માટે ભલે દુખદ સ્વપ્ન સમાન હતો. પરંતુ ખાનગી ડોક્ટરોએ આમાં ખુબ જ રૂપિયા છાપ્યા છે. ખાનગી હોસ્પિટલોએ 37,602 લોકો પાસેથી 1850 કરોડ રૂપિયા ડોક્ટરોએ જનતા પાસેથી વસુલ્યા છે. જો સરકારે ભાવ પર અંકુશ ન લગાવ્યો હોત તો 3500 કરોડ ખંખેરી લેવાની તૈયારી હતી. જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચે ત્યારે સગા પાસેથી 10 લાખથી માંડીને 50 લાખ સુધી જેવા દર્દી તે પ્રમાણે ખંખેરવામાં આવતા હતા. જનતાની સેવા કોઇ ખાનગી ડોક્ટરે નથી કરી. અને ડોઢા નાણા વસુલી લીધા છે. કોરોના વોરિયર અને પોતાના જીવના જોખમે લડ્યા તે માત્ર વાતો છે. આમાં રૂપિયા સિવાય કોઇ જ એન્ગલ નહોતો.

જો કે IMA આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના વોરિયર ડોક્ટર્સની ભાવનાને આ નિવેદનથી ભારે ઠેસ પહોંચી છે. આ સમગ્ર તબીબી આલમને બદનામ કરવાની પ્રયાસ કર્યો છે. આઇએમએ ગુજરાતના સેક્રેટરીએ જણાવ્યું કે, લોકોએ અમારી કામગીરીની કદર કરી છે. આવા ઉશ્કેરણીજનક નિવેદનથી ડોક્ટર્સની લાગણીને ઠેસ પહોંચે છે. આવા પ્રકારનાં નિવેદન ધારાસભ્ય જેવા પદ પર રહેલા લોકોએ ન કરવા જોઇએ. આનાથી ખુબ જ નુકસાન પહોંચે છે.