Site icon Revoi.in

પાકિસ્તાનનો આતંકી ચહેરો સામે આવ્યોઃ મૃત જાહેર કરાયેલો મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જીવતો નીકળ્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડ પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. એટલું જ નહીં મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા ભારત દ્વારા આપવામાં આવ્યાં હતા. આ કેસનો માસ્ટર માઈન્ડ સાજીદ મીરને પાકિસ્તાને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાને સાજીદ મીરની અટકાયત કરી હતી. આમ અગાઉ મૃત જાહેર કરવામાં આવેલા સાજીદ જીવતો મળી આવતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પણ ચલાવ્યા હતા. દરમિયાન અગાઉ પાકિસ્તાને સાજિદ મીરને મૃત જાહેર કર્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદના મોતનો દાવો કર્યો હતો.

એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને પાકિસ્તાનમાં સજા ભોગવી રહ્યો છે. 2011 માં, મીરને એફબીઆઈ દ્વારા તેના પર  5 મિલિયન ડોલરની ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો આકા હોવાનું મનાય છે.

જાણકારોના મત અનુસાર પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે.