Site icon Revoi.in

પાકિસ્તાનના ચાર ટુકડા થશે, અને ત્રણ ભાગ ભારત સાથે જોડાશેઃ બાબા રામદેવ

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પાકિસ્તાનના પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે બીજી તરફ પીઓકે, બલુચિસ્તાન સહિતના વિસ્તારોમાં સ્થાનિકો પાકિસ્તાન સરકાર સામે નારાજ છે અને દેખાવો યોજી રહ્યાં છે. દરમિયાન યોગગુરુ બાબા રામેદેવે દાવો કર્યો હતો કે, અખંડ ભારતનું સ્વપ્ન આગામી દિવસો પૂર્ણ થશે. પાકિસ્તાનના ચાર ટુકડા થશે અને તે પૈકી 3 હિસ્સા ભારત સાથે જોડાશે. તેમજ આગામી દિવસોમાં પાકિસ્તાન અને ચીન ભારતની સામે મુશ્કેલીઓ ઉભી કરે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

યોગ ગુરુ બાબા રામદેવે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. રામદેવે હરિદ્વારમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે. તેમણે કહ્યું- બલૂચિસ્તાન, પીઓકે, પંજાબ, સિંધ હવે અલગ રાષ્ટ્ર બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાન એક નાનો દેશ રહેશે અને ટૂંક સમયમાં PoK પણ ભારતમાં વિલીન થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં ભારત એક મહાસત્તા બનીને ઉભરશે. ત્યાંના 3 ભાગો (પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન) ભારતમાં ભળી જશે અને અખંડ ભારતનું સપનું પણ ટૂંક સમયમાં સાકાર થશે. ચીન અને પાકિસ્તાન તરફથી નાપાક પ્રવૃત્તિઓ થઈ રહી છે. હવે અફઘાનિસ્તાન પણ તાલિબાનથી સુરક્ષિત રહેવાનું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાન, પીઓકે સહિતના વિસ્તારમાં લોકો સરકારની કામગીરીથી નારાજગી સાથે દેખાવો કરી રહ્યાં છે, એટલું જ નહીં તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પીઓકેમાં દેખાવો કરનારા સ્થાનિકોએ ભારત સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Exit mobile version