અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે.
આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ પણ અમે કરવા પ્રતિબદ્ધ છીએ દેવળિયાધાર ખાતે જે ગામોને લાભો મળ્યા છે એ ગામો સિવાય બાકી રહેતા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે અને શુદ્ધ પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવશે. સરદાર સરોવર યોજના, સૌની યોજના, નલ સે જલ જેવી યોજના અંતર્ગત છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળી રહે તેવા આયોજન સાથે કામ કરતી સરકાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન થકી પીવાના પાણીની વ્યવસ્થા, ગામતળ ઊંચું લાવવા માટે, ખેડૂતોને કાંપની ફળદ્રુપ માટી મળી રહે તેવી રીતે આ યોજનામાં કામ થઈ રહ્યું છે. આ પ્રસંગ્રે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ ૩૫ ગામોને લાભ મળશે.
દેવળીયાધાર ખાતે 3.50 લાખ લીટર્સ ક્ષમતાનો નવો ભૂગર્ભ ટાંકો, પંપ હાઉસ, 12 મીટર ઊંચી ટાંકી બનાવવામાં આવી છે જેના થકી આ યોજના હેઠળના ગામડાઓને ફોર્સથી પાણી મળશે. આ કાર્યક્રમમાં મહંત લહેરીગીરી બાપુ, સ્થાનિક રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.