અમદાવાદઃ વધતા જતી મોંધવારીમાં અનેક મધ્યમવર્ગના અને ગરીબ લોકો શાહુકારોની વ્યાજના ચુંગાળમાં ફસાતા હોય છે. ઘણબધા કિસ્સાઓ એવા પણ બને છે, કે તોતિંગ વ્યાજ સાથે મુદલ રકમ પરત કરી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો વધુ રૂપિયા માગીને હેરાન પરેશાન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાતના બનાવો પણ બન્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા શહેરીજનોને મુક્ત કરાવવા માટે 27 દિવસની ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં શહેરના તમામ ઝોનના ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલી કોઈ પણ વ્યકિત સીધા જ ડીસીપીને મળીને તેમની રજૂઆત કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વ્યાજખોરો ગેરકાયદે ધીરધારનો ધંધો કરીને લોકોની મજબુરીનો લાભ લઈને તોતિંગ વ્યાજ ઉઘરાવતા હોય છે.વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો આત્મહત્યા કરવા સુધી મજબૂર થઇ જાય છે. ભૂતકાળમાં પણ વ્યાજખોરોના ત્રાસથી ઘણાં લોકોએ જીવન ગુમાવ્યા હતા. જો કે કોરોના બાદ ફરી વખત વ્યાજખોરો પૈસાની ઉઘરાણી માટે લોકોને ડરાવી ધમકાવીને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆતો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી હતી. જેના આધારે તેમણે શહેરીજનોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકત કરાવવા માટે 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીની 27 દિવસથી ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. જો કે શહેરીજનોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકત કરાવવા માટે શહેરના 7 ઝોનના ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા હોય અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોય તો તેઓ સીધા જ ડીસીપીને મળીને રજૂઆત કરી શકે છે. જેના માટે ભોગ બનનારે જરૂરી ડોક્યુમેન્ટસ સાથે લઈને જવાના રહશે. તેમની રજૂઆત સાંભળીને વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.